"જ્યાં પત્રકારોની હત્યા જેવી ઘટના બને, એ મારું ભારત નથી"
મુંબઈમાં એ આર રહેમાને પોતાની ફિલ્મના પ્રમોશનમાં ગૌરી લંકેશની હત્યા પર પુછાયેલા સવાલ પર આપી આવી પ્રતિક્રિયા. એ.આર.રહેમાને કહ્યું, આ ભારત મારૂં ભારત ન હોઈ શકે. વધુ વાંચો અહીં..
બેંગલુરુના કન્નડ પત્રકાર ગૌરી લંકેશની હત્યાનો વિરોધ સમગ્ર દેશમાં જોવા મળ્યો છે. આ હત્યા બાદ સાચું લખતા અને લોકોને જાગૃત કરતા પત્રકારોને એક રીતે ડરાવવાની કે ધમકાવવાની દિશા તરફ દેશ આગળ વધી રહ્યો હોય, એવી લગાણી ઊભી થવા લાગી છે. ત્યારે જાણીતા સંગીતકાર એ.આર.રહેમાને પત્રકાર ગૌરી લંકેશની હત્યા પર દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, હું આ ઘટનાથી બહુ દુઃખી છું અને આશા રાખું છું કે આવી ઘટના ભારતમાં ન બને, જો આ હત્યા જેવી ઘટના ભારતમાં બને છે તો આ મારૂ ભારત નથી.
નોંધનીય છે કે, 'માં તુજે સલામ' અને 'વંદેમાતરમ્' જેવા દેશભક્તિના સુંદર ગીતો આપનાર એ.આર. રહેમાન ગુરૂવારે મુંબઇમાં તેમની આવનારી ફિલ્મ 'વન હાર્ટઃ ધ એ.આર. રહમાન કંસર્ટ ફિલ્મ'ના પ્રીમિયર માટે આવ્યા હતા. અહીં ગૌરી લંકેશની હત્યા પર સવાલ કરાતા તેમણે પોતાની પ્રતિક્રિયા આપી હતી. રહેમાને જણાવ્યું હતું કે, હું ઇચ્છું છું કે, મારો દેશ સફળતા માટે પ્રોત્સાહન આપનાર અને સરળ બને. ભારતમાં આવી હત્યાની ઘટનાઓ બનતી હોય, તો આ મારૂ ભારત નથી. ઉલ્લેખનીય છે કે, પત્રકારની હત્યા બાદ સોનમ કપૂર અને ફરહાન અખ્તરે પણ દુઃખની લાગણી વ્યક્ત કરતા ટ્વિટ કર્યા હતા.