કમલ સમજૂતી માટે તૈયાર, વિરોધીઓ સાથે કરશે વાત
ચેન્નઈ, 30 જાન્યુઆરી : ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક-અભિનેતા કમલ હસને દેશ છોડવાની ધમકી આપ્યા બાદ હવે સમજૂતી માટે તૈયારી દર્શાવી છે. કમલ હસને જણાવ્યું છે કે તેઓ વિશ્વરૂપમ ફિલ્મ સામે વાંધો કરી રહેલાં મુસ્લિમ સંગઠનો સાથે વાતચીત કરવા તૈયાર છે અને વાંધાજનક દૃશ્યો ફિલ્મમાંથી કાપવા પણ તૈયાર છે.
આ અગાઉ કમલ હસને મદ્રાસ હાઈકોર્ટ દ્વારા તેમની ફિલ્મ ઉપર લગાવાયેલ પ્રતિબંધ ઉઠાવી લીધા બાદ પણ તામિળનાડુ સરકારે તેને ડબલ બેંચમાં પડકારતાં દેશ છોડવાની ધમકી આપી હતી. કમલ હસને જણાવ્યું હતું કે જો તેમને ન્યાય નહીં મળે, તો તેઓ દેશ છોડવાની હદે પણ જઈ શકે છે.
કમલ હસને હવે જણાવ્યું છે કે તેઓ મુસ્લિમ સંગઠનોના આપત્તિઓ ઉપર ગોર કરશે. તેમની સાથે બેસી ફિલ્મ જોશે અને વાતચીત દ્વારા વચલો રસ્તો કાઢવાનો પ્રયત્ન કરશે. જોકે હાલ એક જ સંગઠન હાલ વાતચીત માટે તૈયાર થયો છે. તેથી કમલ સામે અન્ય વિરોધ કરનાર સંગઠનોને પણ વાતચીત માટે તૈયાર કરવાનો પડકાર છે.
નોંધનીય છે કે મદ્રાસ હાઈકોર્ટે કમલની ફિલ્મ વિશ્વરૂપમની રિલીઝ પર લગાવવામાં આવેલ પ્રતિબંધ દૂર કરવાનો આદેશ આપ્યો છે. જોકે તામિળનાડુ સરકારે હાઈકોર્ટના આ ચુકાદાને હાઈકોર્ટની ફર્સ્ટ બેંચ સમક્ષ પડકાર્યો છે. તે અંગે કમલ હસને નારાજગી વ્યક્ત કરી છે.