સરદાર સરોવર ડેમ પર 20 મિલીયન યુનિટ વિજ ઉત્પાદન કરવામાં આવી રહ્યુ છે
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના SOU-એકતાનગર ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આજે તા.૧૪ મી ઓગષ્ટ,૨૦૨૨ ને રવિવારના રોજ બપોરે ૦૪:૦૦ કલાકે ૧૩૫.૦૯ મીટરે નોંધાયેલ છે. અને હાલમાં દર કલાકે આશરે સરેરાશ ૦૩ થી ૦૪ સે.મી. પા
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના SOU-એકતાનગર ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આજે તા.૧૪ મી ઓગષ્ટ,૨૦૨૨ ને રવિવારના રોજ બપોરે ૦૪:૦૦ કલાકે ૧૩૫.૦૯ મીટરે નોંધાયેલ છે. અને હાલમાં દર કલાકે આશરે સરેરાશ ૦૩ થી ૦૪ સે.મી. પાણીની સપાટીમાં વધારો નોંધાઇ રહ્યોં છે. ઉપરવાસના જળાશયોમાં પાણીની આવક વધવાને કારણે નર્મદા ડેમમાં આજે હાલમાં આશરે સરેરાશ ૨.૫ લાખ ક્યુસેક પાણીના જથ્થાની આવક થઇ રહી છે. આ લેવલે જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ ૮,૩૨૦.૩૦ મિલીયન ક્યુબીક મીટર (MCM) જથ્થો નોંધાયેલ છે અને આજની સ્થિતીએ નર્મદા ડેમમાં પાણીનો ૮૭.૯૫ ટકા જથ્થો ભરાયેલ છે. આશરે છેલ્લા ૨૬ દિવસથી દરરોજ રિવર બેડ પાવર હાઉસમાં વિજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે. રિવરબેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા છેલ્લા ૨૬ દિવસમાં અંદાજે રૂા.૧૦૬.૯૪ કરોડની કિંમતનું વિજ ઉત્પાદન થયેલ હોવાની જાણકારી પણ સરદાર સરોવર-નર્મદા ડેમ વિભાગ તરફથી પ્રાપ્ત થઇ છે.
આશરે છેલ્લા ૨૬ દિવસથી સરદાર સરોવર ડેમ ખાતેના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક-રિવરબેડ પાવર હાઉસના તમામ ૦૬ યુનિટ મારફત વિજ ઉત્પાદન શરૂ કરાયું છે. આ વિજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૧૯ મીટરે નોંધાયેલ હતી. હાલમાં છેલ્લા ૨૬ દિવસથી રિવરબેડ હાઉસના ૨૦૦ મેગાવોટની ક્ષમતાવાળા ૦૬ યુનિટ દરરોજ સરેરાશ ૨૪ કલાક સતત કાર્યરત સાથે ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે, જેના કારણે હાલમાં દરરોજ સરેરાશ રૂા.૪ કરોડની કિંમતનુ ૨૦ મિલીયન યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે. આ વિજ ઉત્પાદન બાદ દરરોજ આશરે સરેરાશ ૪૫ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તેને લીધે નર્મદા નદીની જળસપાટીમાં હાલ સતત વધારો નોંધાઇ રહ્યોં છે.
તેવી જ રીતે ૫૦ મેગાવોટની ક્ષમતાવાળા ૦૪ કેનાલ હેડ પાવર હાઉસ તા.૧૨ મી ઓગષ્ટથી સતત કાર્યરત છે અને આજે તા.૧૪ મીની સ્થિતિએ હાલમાં સરેરાશ રૂા.૯૮ લાખની કિંમતનું ૪.૮ મિલીયન યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે. અને દૈનિક સરેરાશ ૨૦,૦૭૪ ક્યુસેક પાણી વિજ ઉત્પાદન બાદ નર્મદાની મુખ્ય કેનાલ મારફત ગુજરાતના વિવિધ વિસ્તારો માટે છોડવામાં આવી રહ્યું છે, જે સિંચાઇ અને પીવાના પણીના ઉપયોગમાં લેવાઇ રહ્યું છે. આમ કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં કુલ રૂા.૨.૯૪ કરોડની કિંમતનું વિજ ઉત્પાદન કરાયું છે, તેવી જાણકારી પણ પ્રાપ્ત થઇ છે.
નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નર્મદા ડેમની હાલની પરિસ્થિતિને અનુલક્ષીને જરૂરી અગમચેતીના પગલાનાં ભાગરૂપે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર એલર્ટ મોડમાં મુકાયેલ છે. તેમજ તિલકવાડા અને ગરૂડેશ્વર તાલુકા મામલતદારશ્રીઓ સહિત સંબંધકર્તા તમામ વિભાગના અધિકારીશ્રીઓને પુરતી તકેદારી અને સાવચેતી રાખવા સંદર્ભે જરૂરી સુચનાઓ પણ જિલ્લા વહિવટીતંત્ર તરફથી આપવામાં આવી છે.