ભાવનગરના બે શિવાલયોને પિકનિક પોઇન્ટ તરીકે વિકસાવાશે
ભાવનગર, 27 જૂન : ગુજરાતના ભાવનગર શહેરના બે તીર્થસ્થાનોને હવે પિકનીક પોઇન્ટ તરીકે વિકસાવવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. આ તીર્થસ્થાનો બે શિવમંદિર છે. આ શિવમંદિરો જ નહીં પણ ઐતિહાસિક ધરોહર ગણાતા સ્થાપત્ય પણ છે. આ કારણે તેને વિકસાવવાનો નિર્ણય લેવાયો છે.
ભાવનગરના જશોનાથ મહાદેવ મંદિર તથા તખ્તેશ્ર્વર મહાદેવ મંદિર આગામી દિવસોમાં રમણીય અને ફરવાલાયક સ્થળ તરીકે આકાર પામી શહેરના આકર્ષણમાં વધારો કરે તે માટેની યોજના હાથ ધરાઇ છે.
બંને શિવાલયોને રૂપિયા 75 લાખના ખર્ચે વિકસિત કરાશે. શહેરીજનોને અહીં ખાણી-પીણી, મનોરંજન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થશે.
બંને સ્થાપત્યોને વિકસાવવા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિશેષ ગ્રાન્ટ ફાળવાતા જિલ્લા વહીવટી તંત્રએ આ બંને સ્થળોને વિકાસાવવા પ્રોજેક્ટ પર કામગીરી હાથ ધરી છે.
પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્યભરનાં પવિત્ર યાત્રાધામોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે, ત્યારે બોર્ડના ચેરમેન મહેન્દ્ર ત્રિવેદી મૂળ ભાવનગરના હોવાથી સ્થાનિક કક્ષાએ તેમની સમક્ષ શહેરના તખ્તેશ્ર્વર મહાદેવ મંદિર અને જશોનાથ મહાદેવ મંદિરનો વિકાસ કરવાની દરખાસ્ત મુકાઈ હતી.
દરખાસ્તમાં બંને શિવાલયોના ઇતિહાસ અને પૌરાણિક તથા ભાવનગરના રાજવી પરિવારની અણમોલ ભેટ સમી યાદગીરીની હાલની સ્થિતિનો ચિતાર અપાયો હતો.
જેના પગલે બોર્ડની બેઠકમાં આ દરખાસ્ત અંગે વિષદ વિચારણા કરાયા બાદ બંને શિવાલયોના વિકાસ માટે ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.