પેટા ચૂંટણીઓને પગલે ગુજરાતમાં પક્ષ પલટાનો પવન શરૂ
અમદાવાદ, 27 ઓગસ્ટ : ગુજરાતમાં ચૂંટણીના પડઘમ સંભળાયા નથી કે રાજ્યમાં પક્ષપલટાની મોસમ શરૂ થઇ જાય છે. ગુજરાતમાં યોજાનારી એક લોકસભા અને નવ વિધાનસભાની ચૂંટણીઓમાં આવી જ સ્થિતિ સર્જાઇ છે. પક્ષ પલટાના પવનનો માર કોંગ્રેસને વાગ્યો છે.
રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં ટંકારા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે પહેલા જાહેર કરેલા ઉમેદવાર દિલીપ સરડવાને ટિકટ આપવાને બદલે મંગળવાર, 26 ઓગસ્ટની સાંજે લલિત કગથરાને ઉમેદવાર તરીકે જાહેર કરતા કોંગ્રેસમાં ભડકો થયો છે. જેના પગલે સરડવા પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઇ ગયા છે.
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પ્રદેશ મહામંત્રી બ્રિજેશ મેરજા તથા કોંગ્રેસે પહેલા જાહેર કરેલ ઉમેદવાર દિલીપ સરડવાએ ટેકેદારો સાથે ભાજપમાં જોડાવાનો નિર્ણય કરતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.આ મુદ્દે ભાજપના નેતાઓ વિજય રૂપાણી, જયંતિભાઇ કવાડીયા, મોહનભાઇ કુંડારીયા વગેરે સાથે બ્રિજેશ મેરજા ગ્રુપની આખરી તબક્કાની બેઠક યોજાઇ ચૂકી છે. ફોર્મ ભરતી વખતે સરદાર પ્રતિમા સમક્ષ જ ટીમ મેરજાને કેસરીયો ખેસ પહેરાવવાની તૈયારી થઇ રહી છે.
બ્રિજેશ મેરજાએ રાજ્યની 12-12 સરકારોમાં જુદા-જુદા મંત્રીઓના અંગત સચિવ તરીકે ફરજ બજાવ્યા બાદ રાજકારણમાં ઝંપલાવ્યું છે. તેઓ બે વખત કોંગ્રેસના ઉમેદવાર તરીકે મોરબી વિધાનસભાની ચૂંટણી ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા સામે લડી થોડા મતોથી હારી ચૂક્યા છે.
બ્રિજેશ મેરજા જ્યારે ચૂંટણી લડયા ત્યારે લલિત કગથરા તેમને નડયાનો તેમના ટેકેદારોનો આક્ષેપ છે. ત્યારથી બંને વચ્ચે વ્યક્તિગત અંતર વધતુ જતું હતું. દિલીપ સરડવા બ્રિજેશ મેરજાના ટેકેદાર છે. તેમને ટિકિટ અપાવવામાં તેમનો અગત્યનો ફાળો હતો પરંતુ ગઇકાલે સાંજે અચાનક શંકરસિંહ વાઘેલા ગ્રુપના લલિત કગથરાને ટિકિટ મળતા ભડકો થયો છે.
મેરજા આજે ટેકેદારો સાથે કોંગ્રેસનો વર્ષોનો સાથ છોડી ભાજપમાં જોડાયા છે. સ્થાનિક રાજકારણમાં કોંગ્રેસ માટે આ મોટું ગાબડું છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે પ્રદેશ કક્ષાએ જનતાદળ વખતથી જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીન જુથ સાથે બ્રિજેશ મેરજા સંકળાયેલા છે.
બીજી તરફ કોંગ્રેસનો એક વર્ગ એવું માને છે કે ભાજપે પડધરીના બાવનજીભાઇ મેતલીયાને ટિકિટ આપતા ભૌગોલિક સમીકરણની દ્રષ્ટિએ સરડવાને બદલે કગથરા લડાયક ઉમેદવાર તરીકે પાર્ટીને વધુ ફાયદો કરાવી શકે તેવી ધારણા છે.