"વરુણ અને રેશ્મા પટેલે પાટીદાર સમાજને છેતર્યો છે"
પાટીદાર નેતાઓ રેશ્મા પટેલ અને વરુણ પટેલ ભાજપમાં જોડાયાનો પાસ કાર્યકર્તાઓએ કર્યો ઉગ્ર વિરોધ
ચૂંટણી પહેલા શનિવારે સાંજે ગુજરાતના રાજકારણમાં અનેક ટ્વીસ્ટ એન્ડ ટર્ન જોવા મળ્યા હતા. હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં જોડાવા બદલ અધિકૃત આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. હાર્દિક પટેલે આ આમંત્રણનો અસ્વીકાર કર્યો હતો, અલ્પેશ ઠાકોરે 23 ઓક્ટોબરના રોજ કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી હતી. તો બીજી બાજુ પાસના બે મોટા નેતા વરુણ પટેલ અને રેશ્મા પટેલ ભાજપમાં જોડાયા હતા. આ ખબરના મોટા પડઘા રાજ્યમાં સંભળાવા લાગ્યા છે.

પાટીદારોનો રોષ
પાટણ, સુરેન્દ્રનગર અને સાબરકાંઠામાં પાસના કાર્યકર્તાઓ દ્વારા વરુણ પટેલ અને રેશ્મા પટેલનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. વરુણ અને રેશ્મા પટેલના ગદ્દાર લખેલ પૂતાળાઓ બાળી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો આ સાથે જ ચાણસ્મા શહેરમાં તેમની પર પ્રવેશબંધી જાહેર કરી હોવાના પણ સમાચાર છે. પાસ કાર્યકર્તાઓનું કહેવું છે કે, વરુણ અને રેશ્મા પટેલ પાટીદાર માટે નહોતા લડી રહ્યાં. તેમણે રાજકીય રોટલો શેક્યો છે. તેમણે સમાજને છેતર્યો છે અને જો તેઓ શહેરમાં આવશે તો વિરોધ કરવામાં આવશે.
પાટીદારોમાં પડ્યું ભંગાણ
ઉલ્લેખનીય છે કે, વરુણ અને રેશ્મા પટેલે ભાજપમાં જોડાયા બાદ યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં પાસ કન્વીર હાર્દિક પટેલ પર અનેક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ આંદોલન હાર્દિકનું નહોતું, સમાજનું હતું. સરકારે અમારા મુદ્દાને ધ્યાનમાં લીધા અને ભવિષ્યમાં આની પર ઠોસ પગલાં લેવાની ખાતરી આપી છે, આથી અમે ભાજપમાં જોડાયા છીએ. સાથે જ તેમણે હાર્દિકને કોંગ્રેસનો એજન્ટ ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સરકાર અને પાટીદાર નેતાઓ વચ્ચે થયેલ બેઠકમાં પાસ કન્વીનર હાર્દિક પટેલ જોડાયા હતા. તેમણે આ બેઠકને બિન-પરિણામલક્ષી જણાવી હતી. તે સમયથી પાસમાં ભંગાણ પડ્યું હોવાની ખબરો સંભળાઇ રહી હતી.












Click it and Unblock the Notifications
