હાર્દિક પટેલની મુશ્કેલી વધી, કેતન પટેલ બન્યા તાજના સાક્ષી
હાર્દિક પટેલના ખાસ મિત્ર હવે તેની વિરુદ્ધ તાજનો સાક્ષી બની આપશે ફરિયાદ. કેતન પટેલ તાજ સાક્ષી બનતા કોર્ટે તેની પરનો રાજદ્રોહનો કેસ હટાવ્યો. જાણો આ અંગે વધુ અહીં
પાટીદાર નેતા હાર્દિક પટેલની રાજદ્રોહના કેસમાં મુશ્કેલીઓ વધી છે. શનિવારે પાટીદાર આંદોલનના આરોપી કેતન પટેલનું માફીનામું સ્વીકારવામાં આવ્યું છે અને તાજનો સાક્ષી બનવા માટે અનુમતિ આપવામાં આવી છે. ગુજરાત હાઇ કોર્ટે હાર્દિક પટેલને રાજદ્રોહ મામલે જામીન તો આપ્યા છે પણ હાલ પણ તેની પર રાજદ્રોહના મામલો ચાલી રહ્યો છે. જાન્યુઆરી 2016ના રોજ આ મામલે જે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે જેમાં આરોપીઓને જમાનત મળી ગઇ છે. પણ તે પછી કેતન પટેલ તાજનો સાક્ષી બનતા આવનારા સમયમાં હાર્દિક પટેલની મુશ્કેલીઓ વધી શકે છે.
આ સાથે જ કોર્ટે કેતન પટેલને રાજદ્રોહના કેસમાંથી મુક્તિ આપી છે. જો કે નામદાર કોર્ટે સમક્ષ કેતન પટેલે આવનારી સુનવણીમાં સંપૂર્ણ સહયોગ આપવાની વાત પણ આ સાથે સ્વીકારી છે. તો બીજી તરફ હાર્દિક પટેલ સામેના પાટણ લૂંટ અને મારામારી કેસમાં પણ નવો વળાંક આવ્યો છે. શુક્રવારે ફરિયાદી નરેન્દ્ર પટેલ અને દીલીપ સાવલિયાએ પાટણ મેજીસ્ટ્રેટ સમક્ષ એફિડેવિટ કરાવીને જણાવ્યું છે કે આ ગુનામાં હાર્દિક પટેલની કોઇ સંડોવણી નથી. અને તે આ સમયે હાજર નહતો.