સૌરાષ્ટ્ર માટે 10000 કરોડની 'સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ યોજના' : મોદી
કિસાન વિકાસ યાત્રાના સંમેલનમાં કરેલી જાહેરાતના કારણે સૌરાષ્ટ્ર વિસ્તારના 10,000થી વધારે ખેડૂતોને સીધો લાભ પહોંચશે. યોજનાના કારણે સૌરાષ્ટ્રમાં પાણીની કુલ આવકમાં 51 ટકાનો વધારો થવાની સંભાવના છે. પાણી પુરવઠો મળવાને કારણે પાણીની સમસ્યામાં મોટી રાહત મળવાની સંભાવના છે.
નરેન્દ્ર મોદીએ જાહેરાત કરતા જણાવ્યું કે 'સૌરાષ્ટ્રના મહેનતુ ખેડૂતોને પાણીની સમસ્યા ઘણા સમયથી નડી રહી છે. આ માટે રૂપિયા 10,000 કરોડની સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઇ યોજનાની જાહેરાત કરું છે. યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના 115 બંધને નર્મદાના પાણીથી ભરવામાં આવશે.'
તેમણે જણાવ્યું કે લોકોમાં પાણી અંગેની જાગૃતિ લાવવા માટે માતા નર્મદા આરાધના પર્વ યોજવામાં આવશે. જેમાં ગામડાંમાં ડાયરા ગોઠવવામાં આવશે. આ કાર્યક્રમોમાં સિંચાઇ સંબંધિત માહિતી આપતી પુસ્તિકાઓ વહેંચવામાં આવશે સાથે આ બાબતની વિડિયો સીડી પણ દર્શાવવામાં આવશે.
હું આગામી 10 દિવસમાં તમામ 115 બંધોની નજીકમાં કાર્યક્રમો આપવા ઇચ્છું છું જેથી લોકોમાં માતા નર્મદા અંગે જાગૃતિ લાવી શકાય. સાથે હું લોકોને આગ્રહ કરું છું કે જ્યારે પણ ડેમાં પાણી સુકાય એ સાથે ડેમને ઊંડા કરવાની કામગીરી કરવામાં આવે. આમ કરવાથી પાણી સંગ્રહની ક્ષમતા વધશે.