વાયબ્રન્ટ ગુજરાત નરેન્દ્ર મોદીનું બીજું શક્તિપ્રદર્શન બની રહેશે?
આગામી 10, 11 અને 12 જાન્યુઆરી, 2013 દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013માં વધારે ભવ્ય રીતો યોજવાનું આયોજન કરવામાં આવી છે. આ સમિટમાં વિશ્વભરમાંથી અનેક રાજદૂતો અને બિઝનેસમેન આવશે. આ ઉપરાંત ભારતના ઉદ્યોગ જગતની મોટી હસ્તીઓ જેવી કે રતન ટાટા, મુકેશ અંબાણી, અનિલ અંબાણી, સહારા ઇન્ડિયાના ચેરમેન સુબ્રોતો રૉય, એસ્સાર જૂથના શશિ રૂઇયા, અદાણી જૂથના ગૌતમ અદાણી, વેદાંતા જૂથના અનિલ અગ્રવાલ એક જ મંચ પર ઉપસ્થિત રહેવાની શક્યતા છે.
આ અંગે દિલ્હીમાં યોજાયેલી રાષ્ટ્રીય વિકાસ પરિષદની બેઠક બાદ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે "ગુજરાત સરકાર 10, 11 અને 12 જાન્યુઆરી, 2013માં ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટનું આયોજન કરી રહ્યું છે. આ સમિટમાં વિશ્વના 100 દેશો ભાગ લેશે. દેશમાંથી 20 રાજ્યો તેમાં ભાગ લઇ રહ્યા છે. દેશનું સૌથી વધારે મોટું પ્રદર્શન હશે. તેમાં એમએસએમઇ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. વિશ્વની સારામાં સારી યુનિવર્સિટી સાથે જોડાણનો પ્રયત્ન કરાશે."
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સતત ચોથીવાર શપથ લીધા બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરની આ પ્રથમ ઇવેન્ટ બનવાની છે. આ ઇવેન્ટથી નરેન્દ્ર મોદી ફરી એકવાર રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત થશે.
ઉલ્લેખનીય છે કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2009માં 45 દેશોએ ભાગ લીધો હતો અને 240 બિલિયન ડૉલરના એમઓયુ સાઇન કરવામાં આવ્યા હતા. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2011માં 101 દેશોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી અને અંદાજે 450 બિલિયન ડૉલર એટલે કે 20,83,000 કરોડ રૂપિયાના એમઓયુ સાઇન કરવામાં આવ્યા હતા. હવે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013માં તેનાથી વધારે દેશો ભાગ લેશે અને પાછલી સમિટ કરતા વધારે રોકાણ ખેંચી લાવવા માટે ગુજરાત સરકારના અધિકારીઓ પ્રયત્ન કરી રહ્યા છે.