નામ લીધા વિના વણઝારાએ કોંગ્રેસ પર લગાવ્યો આરોપ, કહ્યું- અમને ફસાવ્યા હતા
નામ લીધા વિના વણઝારાએ કોંગ્રેસ પર લગાવ્યો આરોપ
અમદાવાદઃ સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિ એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે એ સમયના ગુજરાતના ડીઆઈજી વણઝારા સહિત કથિત 22 આરોપીઓને રાહત આપી તેમને નિર્દોષ છોડવામાં આવ્યા છે. નિર્દોષ છોડ્યા બાદ ડીજી વણઝારાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે આજે આટલા વર્ષો પછી અમને ન્યાય મળ્યો છે. વણઝારાએ નામ લીધા વિના જે-તે સમયની કોંગ્રેસ સરકાર પર આરોપ લગાવ્યો કે જે-તે સમયે ગાંધીનગર અને દિલ્હી વચ્ચે ક્રોસ ફાયરિંગ થઈ રહ્યું હતું જે અંતર્ગત ગુજરાતના અધિકારીઓને ખોટા કેસમાં ફસાવીને હેરાન કરવામાં આવ્યા. 8 વર્ષ જેલમાં રહ્યા બાદ અમને ન્યાય મળ્યો છે.
ભાજપના નેતા આઈકે જાડેજાએ કહ્યું કે જે-તે સમયની કેન્દ્રની કોંગ્રેસ સરકારે સીબીઆઈનો ખોટો ઉપયોગ કરીને ગુજરાતના અધિકારીઓને ફસાવ્યા હતા. આવી કિન્નાખોરી કોંગ્રેસ સરકારે કરી હતી. અમે તો પહેલેથી જ કહેતા હતા કે અમારા અધિકારીઓને ખોટા ફસાવવામાં આવી રહ્યા છે. આજે સીબીઆઈ કોર્ટનો ફેસલો આવતાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. સોનિયા ગાંધીએ અને રાહુલ ગાંધીએ દેશની જનતાની માફી માંગવી જોઈએ. જે-જે અધિકારીઓને તંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તેમની પણ જાહેરમાં માફી માંગવી જોઈએ. કોર્ટે આ મામલે કોઈ કાવતરું હોવાનો પણ રદિયો આપ્યો છે. તો અમે જ્યારે પહેલી વખત સ્ટેટમેન્ટ આપ્યું હતું કે કોંગ્રેસની જેતે સમયની કેન્દ્ર સરકારની કિન્નાખોરીએ સીબીઆઈનો ખોટોઉપયોગ કરી હલકી માનસિકતા સાથે અમને પરેશાન કરવામાં આવ્યા છે.
વણઝારાએ કહ્યું કે અમને જે ન્યાય મળ્યો છે તે ફક્તને ફક્ત ન્યાયંત્રના ભાગરૂપે અમને ન્યાય મળ્યો છે. સોહરાબુદ્દીનના પરિજનોને અન્યાય થયો હોવાનું વિચારી રહ્યા હોવાની વાત પર વણઝારાએ કહ્યું કે મને ન્યાય થયો છે જો કોઈ અન્ય લોકોને અન્યાય થયો હોય એમ વિચારતા હોય તો આ દેશ આઝાદ છે અને વિચારવા માટેની બધેને આઝાદી છે. બીજી બાજુ સોહરાબુદ્દીનના પરિજનોએ ઉપલી કોર્ટમાં જવાનો ફેસલો લીધો છે. જણાવી દઈએ કે ડીજી વણઝારા પર હજુ ઈસરત જ્હાં અને સાજિદ જમાલ કેસ પણ અમદાવાદની સીબીઆઈ કોર્ટમાં ચાલી રહ્યો છે.
આ પણ વાંચો- સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસઃ વિશેષ કોર્ટે બધા 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા