મોટો ખુલાસો: મુઝફ્ફરનગર રમખાણોનો બદલો હતો પટણા બ્લાસ્ટ!
પટણા, 28 ઓક્ટોબર: પટણામાં થયેલા સીરિયલ બ્લાસ્ટમાં પોલીસની તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. સૂત્રોની માનીએ તો તપાસમાં એ બાબત સામે આવી છે કે મુઝફ્ફરનગર રમખાણોનો બદલો લેવા માટે આ વિસ્ફોટો કરવામાં આવ્યા હતા. જોકે પોલીસે હજી આ વાતની ખરાઇ કરી નથી.
બિહારની રાજધાની પટણામાં ભારતીય જનતા પાર્ટીની હુંકાર રેલી પહેલા થયેલા સીરિયલ બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યા વધીને છ થઇ ગઇ છે. આ વિસ્ફોટોમાં ઇન્ડિયન મુઝાહિદ્દીનનો હાથ હોવાનું કહેવાઇ રહ્યું છે.
પોલીસ અનુસાર, ઘાયલોમાંથી એકનું મોત મોડી રાત્રે થયું હતું, જેનાથી મરનારાઓની સંખ્યા છ થઇ ગઇ છે. પોલીસના વડા અધિકારીઓ અનુસાર આ વિસ્ફોટ પાછળ આઇએમનો હાથ છે અને તેના માટેની પૂર્વતૈયારીઓ રાંચીમાં કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે આ મામલે અત્યાર સુધી ચાર શંકાસ્પદોની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ ઘટનામાં છના મોત અને 83 લોકો ઘાયલ થયા છે.
આ આખા મામલાની તપાસ માટે રાષ્ટ્રીય તપાસ એજન્સીની ટીમ પટણા પહોંચી ગઇ છે. આ ઘટના બાદ પટણા સહિત આખા રાજ્યમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે. ઉલ્લેખનીય છે કે બિહાર સરકારે મૃતકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયા અને ઘાયલોની મફત સારવારની જાહેરાત કરી છે.