ઉશ્કેરણીજનક ભાષણઃ 10 દિવસ બાદ કોંગ્રેસ લેશે ઓવૈસી સામે પગલાં
આ ઘટનાના 10 દિવસ બાદ કોંગ્રેસ તરફથી કોઇ નિવેદન આવ્યું છે. આંધ્ર પ્રદેશ કોંગ્રેસ કમિટિના જનરલ સેક્રેટરી આબિદ આર ખાને કહ્યું કે સરકાર પુરાવા એકઠાં કરી રહી છે, જેથી આ મામલે મજબૂત એફઆઇઆર દાખલ કરી શકાય. ઓવૈસીએ 24 ડિસેમ્બર 2012ના રોજ અદિલાબાદમાં ઉશ્કેરણીજનક ભાષણ કર્યું હતું જેમાં તેમણે મુસ્લિમોને હિન્દુઓ વિરુદ્ધ હથિયાર ઉઠાવવા કહ્યું હતું. હૈદરાબાદ કોર્ટમાં ઓવૈસી વિરુદ્ધ મામલો દાખલ કરવામાં આવ્યો છે અને એફઆઇઆરને લઇને આજે કોર્ટમાં નિર્ણય કર્યો છે કે ઓવૈસી વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવે.
બીજી તરફ અકબરુદ્દીનના ભાઇ અસદદ્દીને કહ્યુ કે, હાં, આ સંબંધમાં એક ગુનાહિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કાયદો જે નિર્ણય કરશે અમે તેની સાથે છીએ. હું તેના પર કંઇ કહેવા માગતો નથી કારણ કે મામલો કોર્ટમાં છે.
એક્ટર-ડિરેક્ટર ફરહાન અખ્તરે પણ આ અંગે ટ્વિટ કરતા કહ્યું છે કે, મુબઇમાં બે યુવતીઓની ફેસબુક પર કોમેન્ટ કરતાં જ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ ઉશ્કેરણીજનક ભાષણ કરવાં છતાં ઓવૈસી સામે કંઇ થયું નથી. 10 દિવસથી તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ છે.
આ પ્રકારના મામલામાં પીલીભીતના સાંસદ વરૂણ ગાંધીને જેલ થઇ ચુકી છે. 2009માં વરૂણ ગાંધીને આ પ્રકારના ભાષણને લઇને ચૂંટણીપંચે નોટીસ ફટકારી હતી. આ પહેલીવાર નથી કે અકબરુદ્દીન વિવાદમાં રહ્યાં છે. બાંગ્લાદેશી લેખીકા તસ્લીમ નસરીન પરના હુમલાને લઇને પણ તેઓ ચર્ચામાં રહ્યાં હતા.