કોંગ્રેસની ભારત જોડો યાત્રા પહોંચી મહારાષ્ટ્ર, રાહુલ ગાંધી સાથે શરદ પવાર અને આદિત્ય ઠાકરે પણ કરશે પદયાત્રા
રાકાંપા પ્રમુખ શરદ પવાર તેમજ શિવસેના નેતા આદિત્ય ઠાકરે 11 નવેમ્બેર શુક્રવારે ભારત જોડો યાત્રામાં સામેલ થશે.
કોંગ્રેસની ભારત જોડો યાત્રા મહારાષ્ટ્ર સુધી પહોંચી ચૂકી છે. મહારાષ્ટ્રમાં તેમનો 14 દિવસના ભ્રમણનો કાર્યક્રમ છે. મહારાષ્ટ્રમાં ભારત જોડો યાત્રા કુલ 381 કિલોમીટર ભ્રમણ કરશે અને 15 વિધાનસભા તેમજ 6 સંસદીય વિસ્તારોમાંથી પસાર થશે. મહારાષ્ટ્રના કોંગ્રેસ નેતા અશોક ચૌહાણે કહ્યુ કે રાકાંપા પ્રમુખ શરદ પવાર તેમજ શિવસેના નેતા આદિત્ય ઠાકરે 11 નવેમ્બેર શુક્રવારે યાત્રામાં સામેલ થશે.
પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણે કહ્યુ કે ભારત જોડો યાત્રા 7 નવેમ્બરે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરી ચૂકી છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા અને 2008માં મુખ્યમંત્રી રહી ચૂકેલા અશોક ચૌહાણે જણાવ્યુ હતુ કે NCPના જયંત પાટીલ, સાંસદ સુપ્રિયા સુલે અને જિતેન્દ્ર અવધ આવતીકાલે (10 નવેમ્બર) ભારત જોડો યાત્રામાં ભાગ લેશે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ થોડા દિવસો પહેલા મહારાષ્ટ્ર સરકારમાંથી બહાર થઈ ગઈ હતી. એનસીપીના વડા શરદ પવારે શિવસેના-રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસની મહા વિકાસ અઘાડી સરકારની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભલે ત્રણેય પક્ષોની સરકાર પડી ભાંગી હોય પરંતુ કોંગ્રેસ-એનસીપી અને શિવસેના હજુ પણ સાથે જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર પહોંચતા પહેલા રાહુલ ગાંધી તેલંગાણા, કેરળ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં મેરેથોન વૉક પૂર્ણ કરી ચૂક્યા છે. સોનિયા ગાંધી પણ આ યાત્રાનો હિસ્સો બન્યા છે. કોંગ્રેસ પાર્ટીના અભિયાન ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ઘણા નેતાઓ રાજ્યના બુદ્ધિજીવીઓ, વિવિધ સમુદાયના નેતાઓને મળી રહ્યા છે. રાહુલ ગાંધી જેમને મળે છે તે પ્રખ્યાત લોકોમાં રમતગમત, વ્યવસાય અને મનોરંજન જગતની હસ્તીઓનો સમાવેશ થાય છે. ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરના રોજ તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઈ હતી.