Fabindia ના દિવાળી કેમ્પેઈન જશ્ન-એ-રિવાજને લઈને વિવાદ, ભાજપે મોર્ચો ખોલ્યો!
કપડાં, ઘરની સજાવટ અને જીવનશૈલી ઉત્પાદનો સાથે સંકળાયેલી કંપની ફેબ ઇન્ડિયાએ પણ આ તહેવારોની સિઝનમાં તેના ગ્રાહકો માટે 'જશ્ન-એ-રિવાજ' અભિયાન શરૂ કર્યું છે. હવે આ અભિયાનને લઈને હંગામો સર્જાયો છે.
નવી દિલ્હી, 18 ઓક્ટોબર : દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા ભારે ડિસ્કાઉન્ટ સાથે નવી ઓફરો લાવી રહી છે. કપડાં, ઘરની સજાવટ અને જીવનશૈલી ઉત્પાદનો સાથે સંકળાયેલી કંપની ફેબ ઇન્ડિયાએ પણ આ તહેવારોની સિઝનમાં તેના ગ્રાહકો માટે 'જશ્ન-એ-રિવાજ' અભિયાન શરૂ કર્યું છે. હવે આ અભિયાનને લઈને હંગામો સર્જાયો છે. ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ વિરોધ કરી કહ્યું છે કે દિવાળીની ઉજવણી જશ્ન-એ-રિવાજ નથી.
ફેબ ઈન્ડિયાએ એક ટ્વિટમાં કહ્યું કે, જેમ આપણે પ્રેમ અને પ્રકાશના તહેવારનું સ્વાગત કરીએ છીએ તેમ ફેબ ઈન્ડિયા દ્વારા જશ્ન-એ-રિવાઝ એક એવો સંગ્રહ છે જે ભારતીય સંસ્કૃતિને સુંદર રીતે શ્રદ્ધાંજલિ આપે છે. હવે કંપનીના ટ્વિટનો વિરોધ શરૂ થયો છે. જો કે વિવાદ બાદ ફેબિન્ડીયાએ તેનું ટ્વીટ ડિલીટ કરી દીધું હતું. જશ્ન એ રિવાજ અભિયાનની શરૂઆત કરતા ફેબ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, આ દિવાળી પહેલા કરતા વધારે મિત્રો અને પરિવાર દ્વારા ઘેરાયેલા હોવા બદલ અમે બધા આભારી છીએ. આ સંગ્રહ તમારી સાથે જોડાયેલી લાગણીને મૂર્તિમંત કરે છે, તમને હસ્તકલા અપનાવવા વિનંતી કરે છે. આપણા કારીગરોનું સન્માન કરીને આપણા મૂળની ઉજવણી રોજિંદા વાતચીતનો ભાગ ન બનવા માટે કોઈ કારણ નથી.
ફેબ ઇન્ડિયાના આ અભિયાનનો વિરોધ કરતા પદ્મશ્રી અને મણિપાલ ગ્લોબલ એજ્યુકેશનના ચેરમેન મોહનદાસ પાઇએ કહ્યું કે, દિવાળી પર ફેબ ઇન્ડિયાનું ખૂબ જ શરમજનક નિવેદન! આ એક હિન્દુ તહેવાર છે, જેમ અન્ય લોકો માટે ક્રિસમસ અને ઈદ. આવા નિવેદન ધાર્મિક તહેવારને નષ્ટ કરવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ દર્શાવે છે!
બીજી બાજુ એક યુઝરે આ અભિયાનને યોગ્ય ઠેરવ્યું તો મોહનદાસ પાઇએ બીજું એક ટ્વિટ કરીને કહ્યું, તમે નથી સમજ્યા! હિન્દુ તહેવાર માટે વિદેશી શબ્દોનો ઉપયોગ એ આપણા વારસાને છીનવી લેવાનો અને તેનો નાશ કરવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ છે! તમે દિવાળી પછી કોઈપણ બ્રાન્ડ નામનો ઉપયોગ કરી શકો છો, પરંતુ આ સમયે તેને દિવાળી સાથે સાંકળવાથી વિકૃત માનસિકતા દેખાય છે!
આ પછી, ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યાએ પણ જશ્ન-એ-રિવાજ અભિયાનનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તેને કહ્યું કે, દીપાવલી જશ્ન-એ-રિવાજ નથી. આવા ઈરાદાપૂર્વકના ખોટા સાહસ માટે નાણાકીય નુકસાનનો સામનો કરવો પડશે.
આ પછી ભાજપના એક નેતાએ ફેબ ઇન્ડિયાની બ્રાન્ડ પર જ સવાલ ઉઠાવ્યા. ભાજપ યુપીના પ્રવક્તા પ્રશાંત ઉમરાવે ટ્વિટ કર્યું કે, ફેબ ઇન્ડિયાના કપડાં ખૂબ મોંઘા છે અને એકવાર ધોયા પછી બિનઉપયોગી બની જાય છે, અન્ય બ્રાન્ડમાં જવાની જરૂર છે.
બીજી બાજુ અન્ય એક યુઝરે લખ્યુ કે, કડવા ચૌથ, અહોઈ, દીપાવલી, ભાઈ દૂજ શું મુસ્લિમ તહેવાર છે તો તમે જશ્ન-રિવાજ લખો છો. અન્ય એક યુઝરે લખ્યું, ફેબનો બહિષ્કાર કરો, મને તેની વાત સમજાતી નથી, એવું લાગે છે કે તેણે પાકિસ્તાનને નોકરી આઉટસોર્સ કરી છે.