પ્રજાપતિ એન્કાઉન્ટર મુદ્દે મોદી રાજીનામું આપે : કોંગ્રેસ
નવી દિલ્હી, 3 સપ્ટેમ્બર : કોંગ્રેસ પાર્ટીએ ફરી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પોતાના સપાટામાં લીધી છે. આ વખતે તેણે તુલસીરામ પ્રજાપતિ નકલી એન્કાઉન્ટર કેસમાં ચાલી રહેલી તપાસમાં શાસક ગુજરાત સરકારે અવરોધો ઊભા કર્યા હોવાના આરોપોને પગલે સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાની અને તપાસ પૂરી થાય ત્યાં સુધી મોદી તેમના હોદ્દા પરથી રાજીનામું આપે એવી માગણી કરી છે.
પ્રજાપતિ રાજસ્થાનના ગેંગસ્ટર સોહરાબુદ્દીન શેખનો સાગરિત હતો. સોહરાબુદ્દીનનું પણ ગુજરાત પોલીસે એન્કાઉન્ટર કરી નાખ્યું હતું. ભાજપના સંસદસભ્યો પ્રકાશ જાવડેકર અને ભૂપેન્દ્ર સિંહ યાદવ સામે સુપ્રીમ કોર્ટમાં નોંધવામાં આવેલી જનહિતની અરજીમાં એવો આરોપ મૂકાયો છે કે આ બંને નેતાએ ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અમિત શાહ જેમાં મુખ્ય આરોપી છે તે પ્રજાપતિ એન્કાઉન્ટર કેસની તપાસમાં અવરોધો પેદા કરવાનો પ્રયાસ કર્યો છે.
પીટિશન એક પત્રકારે પોતે હાથ ધરેલા એક સ્ટિંગ ઓપરેશનના આધારે નોંધાવી છે. પત્રકારનો આરોપ છે કે સંસદસભ્યો જાવડેકર અને યાદવે અદાલતી કાર્યવાહીમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે ફરિયાદને ફોસલાવી-ધમકાવીને તેમ કર્યું છે. બંનેનો એ પાછળનો હેતુ અમિત શાહને બચાવવાનો છે.
નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધિત કરતા કોંગ્રેસના મીડિયા સેલના વડા અજય માકેને કહ્યું કે નકલી એન્કાઉન્ટર કેસની તપાસ પૂરી થાય ત્યાં સુધી મોદીએ હોદ્દા પરથી રાજીનામું આપવું જોઈએ. કોંગ્રેસે જોકે પત્રકારના સ્ટિંગ ઓપરેશનની સીડીની સચ્ચાઈની ચકાસણી કરવા કહ્યું નથી, પણ આ મામલે સીબીઆઈ દ્વારા તપાસની માગણી કરી છે.