કર્ણાટકની પ્રજાએ એવું તો શું કર્યું કે મોદીએ ઉભા થઇ જવું પડ્યું!
બેંગલોર, 29 એપ્રિલ: રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે પોતાની પહેલી ચૂંટણી સભા બેંગલોર ખાતે સંબોધી હતી. નરેન્દ્ર મોદી જ્યારે મંચ પર આવ્યા ત્યારે કર્ણાટકની જનતા મોદીના નામના સૂત્રોચ્ચાર કરવા લાગી. કર્ણાટકની પ્રજા મોદીના નામના સૂત્રોચ્ચાર એ હદ સુધી કરી રહી હતી કે તેઓ સંચાલકને પણ સાંભળી રહી ન્હોતી. આખરે મોદીએ પોતાના આસન પરથી ઉભા થવાની ફરજ પડી હતી.
મોદી નામના સૂત્રોચ્ચાર વચ્ચે મોદી અચાનક પોતાની બેઠક પરથી ઉભા થઇને માઇક પાસે આવી ગયા અને પોતાના બે હાથ ઉચા કરીને ભારતમાતાની જય બોલાવી. ત્યારબાદ મોદીએ કહ્યું કે 'મારા કર્ણાટકના નવજુવાન સાથીઓ હું અહીંના બધા સાંસદ, અમારી પાર્ટીના નેતાઓ અને ધીરગંભીર મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારને સાંભળવા માટે અમદાવાદથી અહીં આવ્યો છું. પહેલા હું તેમને સાંભળવા માંગું છું, અને બાદમાં હું બોલવા ઉભો થઇશ જ્યાં સુધી તમે મને જવાની રજા નહીં આપો ત્યાં સુધી અહીંથી નહીં જાઉ.' આટલું કહીને લોકોને શાંત કરીને મોદીએ પોતાના સ્થાને બેસી ગયા.'
આ ઉપરાંત મોદીએ પોતાના ભાષણમાં કેન્દ્ર સરકાર અને સોનિયા અને રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે 'કર્ણાટક પોતાના પાંચ વર્ષના ભવિષ્યનો નિર્યણ કરવા જઇ રહ્યું છે. નિર્ણય મિત્રો આપે કરવાનો છે કે રાજ્ય કોના હાથમાં સોંપવાનું છે. ભાજપ હંમેશા પૂછતી આવી છે કે કોંગ્રેસને તમારો મુખ્યમંત્રી કોણ રહેશે એ બતાવો. પણ એ માત્ર હાથ જ બતાવે છે. ચહેરા વગરનો હાથ તારશે કે ડૂબાડશે? મિત્રો હું જગદીશભાઇને સારી રીતે ઓળખું છું. તેમણે જે રીતે નવ મહીના શાસન કરીને બતાવ્યું છે તેવું ભાગ્યે જ કોઇ કરીને બતાવે. ભાજપની અંદર કેટલી આંતરિક કલેહ થયો હતો. પરંતુ પાર્ટીએ કર્ણાટકના વિકાસમાં કોઇ આંચ આવા દીધી નથી.'