જમ્મુ કાશ્મીરમાં વધુ 28000 જવાનોની તૈનાતી, લંગર બંધ, ધાર્મિક સ્થળોની સુરક્ષા હટી
જમ્મુ કાશ્મીરમાં ફરીથી રાજકીય હલચલ વધી ગઈ છે. કેન્દ્ર તરફથી 280 સુરક્ષાબળોની કંપનીઓ એટલે કે 28000 જવાનો ઘાટીમાં તૈનાત કરવામાં આવી રહ્યા છે.
જમ્મુ કાશ્મીરમાં ફરીથી રાજકીય હલચલ વધી ગઈ છે. કેન્દ્ર તરફથી 280 સુરક્ષાબળોની કંપનીઓ એટલે કે 28000 જવાનો ઘાટીમાં તૈનાત કરવામાં આવી રહ્યા છે. અધિકૃત સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષાબળોને શ્રીનગરના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં અને ઘાટીના અન્ય વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી રહ્યા છે. જે જવોનોને ઘાટીમાં મોકલવામાં આવ્યા છે તેમાં મોટાભાગમાં સીઆરપીએફના જવાન છે. ગુરુવારે મોડી સાંજે આ તમામ બટાલિયન ઘાટી પહોંચી છે પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યુ કે આ જવાનોની તૈનાતી કેમ કરવામાં આવી રહી છે.
ધાર્મિક સ્થળોની સુરક્ષા હટાવવામાં આવી
મહત્વની વાત એ છે કે હાલમાં જ જ્યારે 10000 જવાનોની તૈનાતી ઘાટીમાં કરવામાં આવી હતી ત્યારે રાજ્યના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યુ હતુ કે અહીં બધુ બરાબર છે. સૂત્રોની માનીએ તો શહેરમાંથી બહાર નીકળવા માટે બધા રસ્તા પર કેન્દ્રીય અર્ધસૈનિક બળો તૈનાત કરવામાં આવ્યા છે અને તેમને આની સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. આટલી મોટી સંખ્યામાં સુરક્ષાબળોની તૈનાતી બાદ સ્થાનિક પોલિસ માત્ર પ્રતીક તરીકે રહી ગઈ છે. જે રીતે આટલી મોટી સંખ્યામાં સેનાની તૈનાતી કરવામાં આવી રહી છે તેનાથી સ્થાનિક લોકોમાં દહેશતનો માહોલ છે અને લોકો જરૂરી સામાન ખરીદીને ભેગો કરી રહ્યા છે. અધિકૃત સૂત્રોએ એ વાતની પુષ્ટિ કરી છે કે અમુક ધાર્મિક સ્થળોની સુરક્ષા હટાવવામાં આવી છે કારણકે આ વાતની ગોપનીય જાણકારી મળી છે કે આતંકી અહીં તૈનાત સુરક્ષાકર્મીઓને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યા છે.
અમરનાથ યાત્રાના લંગર બંધ કરાયા
તમને જણાવી દઈએ કે તમામ શાળાઓની ગરમીઓની રજાઓ ચાલી રહી છે અને આ આગામી 10 દિવસ સુધી ચાલશે. વળી, અમરનાથ યાત્રા માટે ચાલી રહેલા અમુક લંગરો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. આ પહેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલે કાશ્મીરનો પ્રવાસ પણ કર્યો હતો. ત્યારબાદ 10000 સુરક્ષાકર્મીઓને ઘાટીમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો હતો જેથી અહીંની કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. વળી, બીજી તરફ વિપક્ષી દળ કેન્દ્રના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. તેમને શંકા છે કે કેન્દ્ર અનુચ્છે 35એ અને અનુચ્છેદ 370માં સુધારાની તૈયારી કરી રહ્યા છે. આના કારણે વિપક્ષે સરકારને ચેતવણી આપી છે કે આ સાથે કોઈ છેડછાડ કરવામાં ન આવે.
આ પણ વાંચોઃ આજે દેશના આ 10 રાજ્યોમાં આવી શકે છે અતિ ભારે વરસાદ, IMDએ આપી ચેતવણી
વિપક્ષની ચેતવણી
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીએ કેન્દ્ર સરકારને આગ્રહ કર્યો હતો કે રાજ્યમાં અનુચ્છેદ 35એ સાથે છેડછાડ કરવી દારૂગોળામાં આગ લગાવવા જેવુ થશે. વળી, એક વાર ફરીથી મહેબૂબા મુફ્તીએ આર્ટીકલ 35એ વિશે બધા પક્ષોને સાથે આવવાની અપીલ કરી છે. મહેબૂબા મુફ્તીએ કહ્યુ કે હાલમાં એવી અફવાઓ છે કે 35એની ઉપર હુમલો થઈ શકે છે. તેના હવાલાથી આપણે ભેગા થવુ જોઈએ. માત્ર નેતાઓ જ નહિ પરંતુ જે રાજકીય પક્ષોના કાર્યકર્તા છે, ભલે નેશનલ કૉન્ફરન્સના હોય, કોંગ્રેસ હોય કે ભાજપ કે પછી પીડીપી હોય. મુફ્તીએ કહ્યુ કે અમારા કાર્યકર્તાઓએ બધાના ઘરે જવુ જોઈએ અને બધાને જણાવવુ જોઈએ કે હાલમાં જે ચૂંટણીની લડાઈ છે તેને અલગ રાખીને આપણે મળીને કામ કરીશુ.
ઘાટીને બચાવવા માટે કોઈ પણ હદ સુધી જઈશુ
મહેબૂબા મુફ્તીએ કહ્યુ કે જમ્મુ કાશ્મીરનું જે 35એ છે તેની રક્ષા માટે જાન અને માલ કુરબાન કરવા માટે તૈયાર રહીશુ. આ પહેલી વાર નથી જ્યારે મહેબૂબા મુફ્તીએ 35અ વિશે આવી વાતો કહી છે. થોડા દિવસો પહેલા મુફ્તીએ પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને કહ્યુ હતુ કે તે અનુચ્છેદ 35એની રક્ષા માટે લડાઈ લડવા તૈયાર રહે. તેમણે કહ્યુ હતુ કે આપણે છેલ્લા શ્વાસ સુધી કાશ્મીરની રક્ષા કરીશુ, પીડીપી ક્યારેય સમાપ્ત નહિ થાય. આજે વરસાદમાં આપણા કાર્યકર્તા પોતાના પૈસા ખર્ચીને દૂર દૂરથી આવ્યા છે. મુફ્તીએ કહ્યુ કે કાશ્મીર માટે શહીદ થયેલા લોકોને યાદ કરવાની જરૂર છે. આપણે એક લડાઈ લડવા માટે તૈયાર રહેવાની જરૂર છે. ચૂંટણી આવે છે અને જતા રહે છે પરંતુ અસલી લડાઈ જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો માટે લડવાનુ છે. આપણે રાજ્યની સ્થિતિને બચાવવા માટે કોઈ પણ હદ સુધી જઈશુ.