શશિકલા કેદી નં.9934, જેલમાં કરશે આ કામ
આવકથી વધુ સંપત્તિનો કેસ તમિલનાડુથી કર્ણાટકમાં સ્થળાંતરિત કરવામાં આવ્યો હતો, તે સમયે આરોપી જયલલિતા તમિલનાડુના મુખ્યમંત્રી હતા અને આ કારણે ત્યાં કેસની નિષ્પક્ષ સુનવણી શક્ય નહોતી.
ઓલ ઇન્ડિયા અન્ના મુદ્રક કડગમ(એઆઇએડીએમકે) ના મહાસચિવ શશિકલા એ બુધવારે સાંજે કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. શશિકલાના આત્મસમર્પણ બાદ તરત તેમને કેદી નંબર આપવામાં આવ્યો. શશિકલાનો કેદી નંબર છે 9934 અને તેમના સાથી ઇલાવારસીને 9935 તથા સુધાકરનને 9936 નંબર આપવામાં આવ્યો છે.
જેલમાં જ હાજર હતી કોર્ટ
શશિકલાએ આત્મસમર્પણ કર્યું ત્યારે સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખતા કોર્ટ બેંગ્લુરૂ સેન્ટ્રલ જેલની અંદર જ બેઠી હતી. શશિકલાના ત્યાં પહોંચ્યા બાદ જજે સુપ્રીમ કોર્ટનો ઑપરેટિવ પોર્શન વાંચ્યો હતો. શશિકલાએ કોર્ટને વિનંતી કરી કે, તેમને જયલલિતાના બેરોક પાસેનું બેરોક આપવામાં આવે.
નિરંકુષ ભીડ
શશિકલા જ્યારે જેલ પહોંચ્યા ત્યારે ત્યાં અસંખ્ય લોકો હાજર હતા. ભીડને ખસેડવા અને નિયંત્રિત કરવા માટે પોલીસે લાઠી ચાર્જ કરવો પડ્યો હતો. શશિકલા જેલ પહોંચ્યા ત્યારે તેમની સાથે પતિ નટરાજન અને અન્ય સહયોગીઓ પણ હાજર હતા. પોલીસ અનુસાર સેન્ટ્રલ જેલ પાસે શશિકલાના કાફલાની ચાર ગાડીઓનો નુકસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે, આવકથી વધુ સંપત્તિના કેસમાં શશિકલા દોષી સાબિત થતાં તેમને 4 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
શશિકલાને મળનાર સુવિધાઓ અને કામ
શશિકલાને જેલમાં ધાબળો, 24 કલાક પાણી, ટીવી, ચાલવાની જગ્યા અને વેસ્ટર્ન કમોડ જેવી સુવિધાઓ આપવાની પરવાનગી મળી છે. એસી રૂમ, ઘરનું ખાવાનું, જયલલિતાના બેરોકની બાજુની બેરોક અને એક હેલ્પર જેવી સુવિધાઓની અનુમતિ આપવામાં આવી નથી. તે બેરોકમાં અન્ય બે મહિલાઓ સાથે રહેશે. જેલમાં તેમને મીણબત્તી બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે, જે માટે તેમને રોજ 50 રૂપિયાનું વળતર મળશે.
આ છે આખો મામલો
21 વર્ષ જૂના આવકથી વધુ સંપત્તિના કેસમાં મંગળવારે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચૂકાદો આપતા શશિકલા અને તેમના અન્ય બે સંબંધીઓને દોષી જાહેર કર્યા હતા. શશિકલાને 4 વર્ષની જેલ અને રૂ.10 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ચૂકાદા બાદ 10 વર્ષ સુધી શશિકલા ચૂંટણી નહીં લડી શકે.
કર્ણાટક હાઇકોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા
21 વર્ષ જૂના આ કેસમાં આવકથી વધુ 66 કરોડની સંપત્તિ એકઠી કરી હોવાનો આરોપ જયલલિતા, શશિકલા અને તેમના અન્ય બે સંબંધીઓ ઇલાવારસી અને સુધાકરન પર હતો. વર્ષ 2015માં કર્ણાટક હાઇકોર્ટે આ મામલે જયલલિતા અને શશિકલાને નિર્દોષ જાહેર કર્યાં હતા. કર્ણાટક સરકારે સુપ્રીમ કોર્ટમાં આ ચૂકાદાને પડકાર્યો હતો. વર્ષ 1991થી 1996 દરમિયાન જયલલિતાના મુખ્યમંત્રી કાળ દરમિયાન તેમની પર આવકથી વધુ 66 કરોડ રૂપિયાની સંપત્તિ એકઠી કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
અહીં વાંચો