ગુજરાતની 101 ખેડૂતપુત્રીઓ પોતાના રક્તથી નરેન્દ્ર મોદીને પત્ર લખશે
જૂનાગઢ, 3 જુલાઇ : જેતપુર સોમનાથ ફોર લેન હાઇવે માટે જૂનાગઢના બાયપાસમાં દસ ગામના 250થી વધુ ખેડૂતોની જમીન કપાતમાં જાય છે. કપાતમાં જમીન જતી બચાવવા લાંબા સમયથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. છતાં ગત સપ્તાહમાં તંત્રએ ખેડૂતો પર લાઠીચાર્જ અને અટકાયત કરી બળજબરીથી સંયુક્ત જમીન માપણી કરી હતી. હવે આ લાચાર ખેડૂતોની 101 પુત્રીઓ પોતાના રક્તથી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી પોતાની વેદના વ્યક્ત કરવાની છે.
જેતપુર સોમનાથ ફોર લેન રોડ માટેનું કામ ચાલી રહ્યું છે જૂનાગઢના બાયપાસ અંગેનો વિકલ્પ બદલાતા હેવ જૂનાગઢ તથા વંથલી તાલુકાના દસ ગામના 250 જેટલા ખેડૂત ખાતેદારોની જમીન બાયપાસમાં કપાત થાય છે. વગધરાવતા રાજકીય લોકો તથા તેના મળતીયાઓએ ગેરરીતિઓ આચરી આ બાયપાસનો વિક્લ્પ બદલાયાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. આ મુદે છેલ્લા લગભગ દોઢ વર્ષથી ખેડૂત હિતરક્ષક સમિતીની આગેવાનીમાં અસરગ્રસ્ત ખેડૂતો અહિંસક આંદોલન કરી રહ્યા છે.
આ અંગે અનેકવાર મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. પરંતુ કોઇ પગલા ન લેવાતા હવે ખેડૂત મહિલાઓએ મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખી પોતાના પ્રશ્નોને સંભાળવા પાંચ મીનીટનો સમય ફાળવવા આજીજી કરી હતી. પરંતુ તેનું પણ કોઇ પરિણામ આવ્યું નથી. આખરે 25મી જૂનના ખેડૂતોના પ્રચંડ વિરોધ છતાં હાઇવે ઓથોરિટી તથા તંત્ર દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સંયુક્ત જમીન માપણી શરૂ કરી દેવામાં આવી હતી. ખેડૂતોએ આડે સુઇ જમીન માપણી રોકવા પ્રાયસ કર્યો હતો. તેઓ પર લાઠીચાર્જ કરી તેઓની અટક કરવામાં આવી હતી.
રોડ બનવાથી ખેડૂતોની જમીન જતી રહેશે. તેનાથી ખેડૂતો પાસે આજીવિકાસનું કોઇ સાધન રહેશે નહી. આથી આગામી દિવસોમાં આ લાચાર ખેડૂતોની 101 પુત્રીઓ પોતાના રક્ત વડે મુખ્યમંત્રીને પત્ર લખી વ્યથા ઠાલવશે.