મોદીને જન્મદિવસ પર હીરાબા કંઇક આ રીતે કરાવશે મોઢું મીઠું!
ગાંધીનગર, 14 સપ્ટેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ 17મી સપ્ટેમ્બરના રોજ આવી રહ્યો છે અને નરેન્દ્ર મોદી પોતાનો જન્મ દિવસ ગુજરાતમાં જ ઉજવવાના છે. નરેન્દ્ર મોદી આ દિવસે ગાંધીનગરમાં રહેતા પોતાની માતાના આશિર્વાદ લેવા માટે જશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર માતાને મળવા આવી રહેલા મોદીનું સ્વાગત હિરાબા મોતીચુરના લાડવા અને કંસારથી કરવાના છે.
અહેવાલ અનુસાર માતા હીરાબા મોદીના આવવાની રાહ જોઇને બેઠા છે, તેઓ મોદીના 64માં જન્મદિવસ માટે રોજ દિવસો અને કલાકો ઘણે છે. અત્યાર સુધીના મોટાભાગના જન્મદિવસ નિમિત્તે મોદીએ અચૂકપણે તેમની માતાના આશિર્વાદ લીધા છે.
અત્રે નોંધનીય છે કે હીરાબાને તેમના પુત્ર નરેન્દ્ર મોદી પર ખૂબ જ ગર્વ છે, હાલમાં હીરાબા પોતાના અન્ય પુત્ર પંકજ મોદી સાથે ગાંધીનગરમાં રહે છે. પંકજ મોદી રાજ્ય માહિતી વિભાગમાં કર્મચારી છે.
તેમણે જણાવ્યું કે 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે તેમની માતા હિરાબાના આશિર્વાદ લેવા માટે અત્રે આવશે તો તેમને બુંદીના લાડવા, લાપસી, અને કંસાર પિરસાશે.' પરિવારના એક સભ્યએ જણાવ્યું કે નરેન્દ્ર મોદી જ્યારે હિરાબાના પગે અડે છે તે મોદીના જીવનની સૌથી સુખદ પળ હોય છે.
અત્રે નોંધનીય છે કે હિરાબાને ચાર પુત્ર- સોમાભાઇ, નરેન્દ્ર, પ્રહલાદ, પંકજ- અને એક દિકરી વસંતીબેન છે. વડાપ્રધાન આવવાના કારણે પંકજ મોદીના ઘરને છાવણીમાં ફેરવી દેવાયું છે સમગ્રવિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ઊભો કરી દેવાયો છે.