પ્રકૃતિનું દોહન કરી શકાય તેનું શોષણ ન કરી શકાય: અમિતભાઇ શાહ
કૃષ્ણ જન્મોત્સવના શુભ દિને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રિય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતમાં કલોલ તાલુકાના નારદીપુર ગામે નવીન નક્ષત્ર વનના નિર્માણ હેતુ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો હતો. આ પ્રસંગ
કૃષ્ણ જન્મોત્સવના શુભ દિને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રિય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતમાં કલોલ તાલુકાના નારદીપુર ગામે નવીન નક્ષત્ર વનના નિર્માણ હેતુ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો હતો. આ પ્રસંગે શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર, ગુજરાત અને દેશના નાગરિકોને જન્માષ્ટમી પર્વની શુભકામનાઓ પણ પાઠવી હતી.
અમિત શાહે આ તબક્કે તેમના ટુંકા ઉદ્બોધનમાં કહ્યું હતું કે આજના દિવસે દ્વારિકા થી લઈને આસામ અને વૈષ્ણોદેવી થી લઈને કન્યાકુમારી સુધી સમગ્ર દેશમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. વિશ્વમાં એકમાત્ર એવો જન્મદિવસ કે જેમાં વિના આમંત્રણે કરોડો લોકો મધ્ય રાત્રી સુધી જાગીને પૂરા ભાવથી શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવશે. ૫૧૦૦ વર્ષ પહેલાં ભગવાન કૃષ્ણનું જીવન દરેક માટે પ્રેરણાદાયી, કોઈ માટે તેઓ યોગી સ્વરૂપે, કોઈ માટે મહાન સંગીતકાર, ગીતાના રચયિતા અને તત્વજ્ઞાનના પ્રણેતા, તો કોઈક માટે પંચજન્ય વાગે અને દુશ્મનોના હાજા ગગડે તેવા મહાન રણનીતિકાર. એક જ જીવનમાં અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરી એટલું જ નહિ પરંતુ "સંભવામિ યુગે યુગે" નો સંદેશ આપી હજારો વર્ષ પછી પણ લોકોના મનમાં જ કૃષ્ણ છે તેવો ભાવ ઊભો થાય તેવું પ્રેરક જીવન ભગવાન કૃષ્ણ જીવ્યા.
આ શ્રુંખલામાં અમિત શાહે કલોલ તાલુકાના નારદીપુર ગામે "મિશન મિલિયન ટ્રી" અન્વયે નિર્માણાધિન નક્ષત્ર વનમાં વૃક્ષારોપણ અભિયાનમાં ઉપસ્થિત રહી નવ ગ્રહોના સૂચક વૃક્ષોનું આરોપણ કર્યું હતું. તેઓએ નક્ષત્ર નો ઉલ્લેખ કરતાં કહ્યું કે પ્રત્યેક વ્યક્તિનો જન્મ કોઈ ને કોઈ નક્ષત્રમાં થયેલો હોય છે. આ વ્યક્તિના સ્વભાવમાં રહેલા દોષ માટે જે તે નક્ષત્ર અનુરૂપ વૃક્ષનું વાવેતર જ તેમની સમસ્યાનું સમાધાન હોય છે.તેમજ શ્રી શાહે ગ્રામજનોના પરિવારમાં પ્રત્યેક વ્યક્તિને એક એક છોડ અર્પણ કરી આ આરોપણ કરેલ છોડની માવજત, જતન અને યોગ્ય ઉછેર થાય તે માટે ઉપસ્થિત સૌને સંકલ્પબદ્ધ કરાવ્યા હતા. તેઓએ કહ્યું કે આ વનમાં ૪ હજાર જેટલા વૃક્ષો ઉછેરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્રઇ મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં ૭૫ જેટલા તળાવો બનાવવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. ક્ષેત્રના સાંસદ તરીકે આવા ૧૦ જેટલા મોટા તળાવોના નવીનીકરણ, બ્યુટીફિકેશન માટેના પ્રયત્નો તેઓ દ્વારા થઈ રહ્યા છે ત્યારે તેની જાળવણી માટે સૌ સહિયારો પ્રયાસ કરે તેવો અનુરોધ કર્યો હતો.
અમિત શાહે લોકસભા ક્ષેત્રના સૌ નાગરિકોને નમ્ર અપીલ કરતા કહ્યું હતું કે આપણા વેદ ઉપનિષદોમાં ઈશ્વરની કલ્પના જ કુદરતથી કરી છે, પ્રકૃતિથી કરી છે તેમાં બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પ્રકૃતિનું દોહન કરી શકાય તેનું શોષણ ન કરી શકાય. ગાયના આંચળમાંથી દૂધ એટલું જ નિકાળાય જેટલું હોય, લોહી ન નિકાળાય. કમનસીબે વિકાસની આંધળી દોટમાં અવકાશની અંદર ઓઝોનના પડને આપણે પાતળું કરી નાખ્યું છે. આ ઓઝોન પડ એકમાત્ર એવી વસ્તુ છે જે સૂર્યનારાયણની ગરમીને આપણે સહન કરી શકીએ એટલી કરીને પૃથ્વી પર મોકલે છે. આજે કાર્બન મોનોકસાઈડ અને કાર્બન ડાયોક્સાઈડને લીધે ઓઝોન લેયર પાતળું થયું અને તેને પરિણામે પૃથ્વીનું તાપમાન વધવા લાગ્યું છે.
અમિત શાહે ઉમેર્યું કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ને અવકાશમાં ન જવા દેવા, વરસાદ લાવવા માટે, જમીનનું ધોવાણ અટકાવવા, નદીના સંરક્ષણ માટે, વન્યજીવનને - અનેકવિધ પક્ષીઓની પ્રજાતિઓને બચાવવા માટે અને આપણે નીરોગી રહેવું હોય તો વૃક્ષો વાવવા જ પડે. પ્રાણવાયુ આપણને કેવળને કેવળ વૃક્ષોના માધ્યમથી જ યોગ્ય રીતે મળી શકે. આમ તમામ સમસ્યાઓથી બચવા અને જૈવ ચક્રના સંતુલન માટે એક માત્ર રસ્તો એ વૃક્ષારોપણ છે. તેઓએ ભારપૂર્વક કહ્યું કે લાંબુ આયુષ્ય ધરાવતા પીપળો, જાંબુ, વડ જેવા વૃક્ષો વાવીને આપણે આવતી બે થી ત્રણ પેઢીનું ભવિષ્ય સુરક્ષિત અને સુનિશ્ચિત કરી શકીશું.