ઉદ્ધવે મોદીની ચૂંટણી ટીમની તુલના અફજલ ખાન સાથે કરી
ઉસ્માનાબાદ, 7 ઓક્ટોબર: શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ ભારતીય જનતા પાર્ટી (ભાજપા) પર પોતાના પ્રહાર તેજ કરી દિધા છે. તુલજાપુરની ચૂંટણી સભામાં તેમણે નરેન્દ્ર મોદીની ચૂંટણી ટીમની તુલના અફજલ ખાનની ટીમ સાથે કરી તેમણે આરોપ લગાવતાં કહ્યું કે નરેન્દ્ર મોદી મહારાષ્ટ્ર તોડવા માટે આવ્યા છે. પરંતુ તે તેમની મંશા પૂરી થવા નહી દઇએ.
આ પહેલાં મહારાષ્ટ્રની અસ્મિતાના મુદ્દા પર ઉદ્ધવ ઠાકરેના કાકાના દિકાર અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ નરેન્દ્ર મોદીને પ્રશ્ન કર્યો હતો કે ગુજરાતના વડાપ્રધાન છે કે દેશના. રાજ ઠાકરેએ એમપણ કહ્યું હતું કે જો બાળ ઠાકરે જીવીત હોત તો ભાજપ-શિવસેનાનું ગઠબંધન તુટતું નહી. ભાજપ અને શિવસેનાએ લોકસભાની ચૂંટણી સાથે લડ્યા હતા અને બંનેને સારી સફળતા મળી હતી. પરંતુ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેનાનું ગઠબંધન તૂટી ગયું છે અને બંને પોતાના દમ પર ચૂંટણી લડી રહ્યાં છે.
શિવસેનાનો આરોપ છે કે ભાજપે પોતાના ફાયદા માટે ગઠબંધન તોડ્યું છે. આ દરમિયાન ભાજપના ચૂંટણી પ્રચાર માટે નરેન્દ્ર મોદી બે દિવસ માટે મહારાષ્ટ્ર આવ્યા હતા અને તેમણે બીજા દિવસે તાસગાંવની સભામાં સ્પષ્ટ કર્યું હતું કે બાળ ઠાકરેનું સન્માન કરે છે. એટલા માટે શિવસેના વિરૂદ્ધ કશું બોલશે નહી. ત્યારબાદ શિવસેના વધુ આક્રમક થઇ ગઇ છે.
સોમવારે પાર્ટીના મુખપત્ર સામનાએ લખ્યું છે કે જ્યારે ફક્ત સીટોની વહેંચણીના મુદ્દા પર તમે અમારી પીઠમાં છરો ભોંક્યો, ત્યારે સન્માન ક્યાં હતું, હિન્દુત્વના સિદ્ધાંત પર કરવામાં આવેલું ગઠબંધન તોડતાં પહેલાં તમે બાળ ઠાકરે વિશે વિચાર્યું નહી. બીજી તરફ અચાનક ઠાકરે બંધુઓના નરેન્દ્ર મોદી અને ભાજપની વિરૂદ્ધ આક્રમક વલણથી ફરી એકવાર ચર્ચા થવા લાગી છે કે ચૂંટણી બાદ સત્તા માટે બંને ભાઇ સાથે હોઇ શકે છે.