વારાણસી વિવાદ પર જોશીનો ખુલાસો, 'સંસદીય બોર્ડ કરશે ફેસલો'
કહેવામાં આવી રહ્યું છે કે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની શનિવારે મળેલી બેઠકમાં પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ અને જોશીની વચ્ચે વારાણસી બેઠકને લઇને તીખી ચર્ચા થઇ હતી. જોશી વારાણસી બેઠકથી સાંસદ છે અને ચર્ચા છે કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. સૂત્રોની માહિતી અનુસાર વારાણસી બેઠક પર પાર્ટીના વલણને લઇને જોશીમાં નારાજગી છે.
આજે મીડિયા સાથેની વાતચીતમાં જોશીએ જણાવ્યું કે વારાણસી બેઠક પરથી કોણ ચૂંટણી લડશે તેની પર આખરી નિર્ણય સંસદીય બોર્ડ કરશે. જોશીએ જણાવ્યું કે તેઓ પાર્ટીના સિપાહી છે અને પાર્ટી તેમને જે પણ ભૂમિકા આપશે તેને તેઓ નિભાવશે. જોશીએ જણાવ્યું કે વારાણસીમાં 'પોસ્ટરવોર'ના સમાચાર ખોટા છે. તેમણે મીડિયાને આવા સમાચારો પર ધ્યાન નહીં આપવા અપીલ કરી છે.
જોકે આ વિવાદનું બીજું પાસું એ છે કે વારાણસીમાં ભાજપના કાર્યકર્તા નરેન્દ્ર મોદીને ત્યાંથી લોકસભાની ચૂંટણી લડવાની માંગ કરી રહ્યા છે. હવે જોવાનું એ છે કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દેશની કઇ લોકસભા બેઠક પરથી પોતાનું નસીબ અજમાવે છે.