ફિક્સ પગાર મુદ્દે સરકારનું હકરાત્મક વલણ: શંકર ચૌધરી
ફિક્સ પગાર મુદ્દે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલ આંદોલન ઉગ્ર બનતા મુખ્યમંત્રી વિજય રુપાણીએ આંદોલનકારીઓ સાથે બેઠક યોજી હતી...
ફિક્સ પગાર મુદ્દે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલ આંદોલન ઉગ્ર બનતા મુખ્યમંત્રી વિજય રુપાણીએ આંદોલનકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક અંગે માહિતી આપતા કેબિનેટ મંત્રી શંકર ચૌધરીએ જણાવ્યુ કે 'મુખ્યમંત્રી વિજય રુપાણીએ આંદોલનકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવા ખાસ બેઠક યોજી હતી અને ખાતરી આપી છે કે ફિક્સ પગાર સહિતના તમામ મુદ્દાનો નિવેડો લાવવા માટે સરકાર હકારાત્મક વલણ ધરાવે છે.'
આ ઉપરાંત શંકર ચૌધરીએ જણાવ્યુ કે મુખ્યમંત્રીએ ફિક્સ પગારના મુદ્દા ઉપરાંત ઉદ્યોગોમાં યુવાનોને 85% રોજગારી આપવાનો ચુસ્ત અમલ કરાવાની ખાતરી આપી છે તેમજ ઓછા વેતન પર કામ કરતા કોંટ્રાક્ટ વર્કરો તેમજ આઉટ સોર્સિંગ એજંસીઓમાં કામ કરતા લોકોનું વેતન નિયમ મુજબ મળે તે માટે જરુરી પગલા લેવાનું વચન આપ્યુ છે. સરકારે હાલમાં 67 હજાર જગ્યાઓ ભરી છે અને વધુ બેકલોગ પૂરો કરવાની પણ ખાતરી આપી છે.
મુખ્યમંત્રી વિજય રુપાણીએ આપેલી ખાતરીને પગલે વાઇબ્રંટ સમિટમાં વિરોધ કરવાની આંદોલનકારીઓની યોજના હાલ પૂરતી મુલતવી રખાઇ છે. આ મુદ્દે અલ્પેશ ઠાકોરે જણાવ્યુ હતુ કે ફિક્સ પગાર મુદ્દે સરકારના હકારાત્મક વલણને અમે આવકારીએ છીએ. 10 જાન્યુઆરી સુધીમાં ફિક્સ પગાર મુદ્દે સરકાર હકારાત્મક એફિડેવિટ કરે છે કે નહિ તેની અમે રાહ જોઇશુ. વળી, જન અધિકાર મંચના પ્રવીણ રામે જણાવ્યુ કે મુખ્યમંત્રીએ હકાત્મક વલણ દાખવતા અમે વાઇબ્રંટ સમિટના વિરોધનું એલાન પાછુ ખેચ્યુ છે.