ગુજરાત વિધાનસભામાં ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન સુધારા વિધેયક વિનાવિરોધ પસાર
ગાંધીનગર, 4 જુલાઇ : ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના ત્રીજા દિવસે એટલે કે ગુરુવાર, 3 જુલાઇ, 2014ના રોજ ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન સુધારા વિધેયક વિનાવિરોધ પસાર થયું હતું.
આ સુધારા ખરડા અંગે વિગતો આપતા મહેસૂલ પ્રધાન નીતિન પટેલે વિધાનસભામાં જણાવ્યું કે 'ગણોતધારાની કલમ 70 મુજબ જ્યારે કૃષિપંચ મામલતદાર કોઇ વ્યક્તિને કાયમી ધારણે ગણોતિયો જાહેર કરે છે અને તેના આધારે ધ્યાનમાં આવે છે કે જમીન એકથી વધારે વાર વેચવામાં આવી છે, ત્યારે મામલતદાર દ્વારા જાહેર કરવામાં આવેલો ગણોતિયો કાયદા મુજબ ગણોતિયો કહેવાને યોગ્ય નથી. તેના કારણે જમીનનો છેલ્લો ખરીદદાર મુશ્કેલીમાં મુકાઇ જાય છે.'
આ મુશ્કેલી નિવારવા માટે સરકાર ટોકન દંડ પેટે રૂપિયો 1 વસૂલ કરે છે અને જ્યારે પ્રિમિયમ ચૂકવાઇ જાય ત્યારે જમીન જુની શરતને તબદીલ થાય છે.પ્રિમિયમની રકમ સરકારના નિર્ણય મુજબ બદલાતી રહે છે. આ સુધારો લાવવાથી વર્ષો જુના દાવાઓનો નિકાલ થવાની સાથે પ્રિમિયમ પેટે સરકારને આવક પણ થશે.
આ પહેલા વર્ષ 2011માં સરકાર કાયદામાં સુધારો કરીને કાયમી ગણોતિયા અંગેના આદેશો રદ કરવાની દિશામાં કામ કર્યું હતું. આ સુધારાથી શહેરી અને આસપાસની શહેરી જમીનનો ઉપયોગ રહેણાંક બાંધકામ માટે ઉપયોગમાં લઇ શકાશે.