જીગ્નેશ મેવાણી 28 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસમાં જોડાશે?
અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને CPI નેતા કન્હૈયા કુમાર 28 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસમાં જોડાશે તેવા અહેવાલો છે. આ યુવા નેતાને પાર્ટીમાં લાવીને કોંગ્રેસ પાર્ટી છોડીને જતા યુવાનોની વિચારધારા બદલવા માંગે છે.
આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રચાર અને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. વિવિધ રાજકીય પક્ષો પોતપોતાની વિચારધારા પ્રમાણે એજેન્ડા અને મતદારોને આકર્ષવાના કામમાં જોડાઇ ગઇ છે. જેમાં ભાજપે ગુજરાતના મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળ જ બદલી નાખ્યું છે, તો કોંગ્રેસ દ્વારા યુવા નેતાઓને પક્ષમાં જોડવામાં મહેનત કરવામાં આવી રહી છે. જેમાં અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને CPI નેતા કન્હૈયા કુમાર 28 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસમાં જોડાશે તેવા અહેવાલો છે.
આ યુવા નેતાને પાર્ટીમાં લાવીને કોંગ્રેસ પાર્ટી છોડીને જતા યુવાનોની વિચારધારા બદલવા માંગે છે, જે કારણે પાર્ટીમાં યુવા નેતાઓને આવકારવામાં આવી રહ્યા છે. ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ કોંગ્રેસના નેતૃત્વના સંપર્કમાં છે.
ઉલ્લેખનીય છે કે, 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠક પરથી મેવાણી સામે ઉમેદવાર ઉતાર્યા ન હતા. આ સાથે અન્ય એક યુવા નેતા હાર્દિક પટેલ ગુજરાતમાં કોંગ્રેસના મેદાનને મજબૂત કરવા માટે પહેલેથી જ કામ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, જીગ્નેશ મેવાણીને કોંગ્રેસમાં જોડાવાથી ગુજરાતમાં 7 ટકા અનુસુચિત જાતિ સમાજના લોકોમાંથી જે લોકોનું વલણ ભાજપ તરફી છે, તેમને ફરી કોંગ્રેસ તરફી બનાવવામાં મદદ મળશે. આ પહેલા ભાજપે 12 ટકા પાટીદારોની માંગ સ્વીકારીને ભાજપે પહેલાથી જ પાટીદારોને પોતાની તરફ કરવાના પ્રયાસ શરૂ કરી દીધા છે. ચૂંટણી સાથે જ કાસ્ટ કાર્ડ્સની રાજનિતિ પણ ગુજરાતમાં શરૂ થઇ ગઇ છે. આ સાથે પાપા પગલી કરતી આમ આદમી પાર્ટીએ હજૂ કોઇ ચૂંટણી અંગે કોઇ મોટી જાહેરાત કરી નથી, સિવાય કે AAP 182 સીટ પરથી ચૂંટણી લડશે.
CPI નેતા અને JNUના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ કન્હૈયા કુમાર રાહુલ ગાંધી સાથેની બેઠક બાદ કોંગ્રેસમાં જોડાવાની અટકળો તેજ થઈ ગઈ છે. એવી ચર્ચા છે કે, જે રીતે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે, તેવી જ રીતે કન્હૈયા પણ તેમના દ્વારા કોંગ્રેસમાં જોડાવાની વાત કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, ગયા વર્ષે બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા PKએ કન્હૈયા કુમારને 'બિહારનો દીકરો' કહીને બેટિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો.
કન્હૈયા કુમાર અને જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચા
બિહારના બેગુસરાયથી લોકસભાની ચૂંટણી જંગી હારથી હારી ગયેલા CPI નેતા અને JNU વિદ્યાર્થી સંઘના ભૂતપૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર મંગળવારના રોજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળ્યા હતા. જે બાદ એવા અહેવાલ છે કે, 28 સપ્ટેમ્બરના રોજ કન્હૈયા કુમાર અને જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતાઓ છે.
કોંગ્રેસ પાર્ટી સામેની ધારણા બદલવા માંગે છે
કોંગ્રેસના સૂત્રો એમ પણ માને છે કે, કન્હૈયા કુમાર અને મેવાણી જેવા યુવા ચહેરાઓને પાર્ટીમાં લાવવાથી યુવા નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે, તેવી ધારણા દૂર થશે. કારણ કે, છેલ્લા બે વર્ષમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, પ્રિયંકા ચતુર્વાડી, જિતિન પ્રસાદ અને સુષ્મિતા દેવ જેવા પ્રભાવશાળી નેતાઓએ કોંગ્રેસને અલવિદા કહ્યું છે. તેમાંથી અડધા લોકો કોંગ્રેસના સાથી પક્ષોમાં જોડાયા છે. બીજી તરફ કોંગ્રેસ સચિન પાયલટ વિશે પણ અનિશ્ચિત છે.