navratri guidelines 2021 - શેરી ગરબામાં 400 લોકોને મંજૂરી, રાત્રિ કરફ્યૂમાં 1 કલાકની રાહત
નવરાત્રિને લઈ સરકારે મોટો નિર્ણય લીધો છે. નવરાત્રિમાં રાત્રિ કરફ્યૂમાં છૂટછાટ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. આ સાથે શેરી ગરબાને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયને ગરબા રસીકોએ વધાવી લીધો છે.
navratri guidelines 2021 : નવરાત્રિને લઈ સરકારે મોટો નિર્ણય લીધો છે. નવરાત્રિમાં રાત્રિ કરફ્યૂમાં છૂટછાટ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. આ સાથે શેરી ગરબાને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયને ગરબા રસીકોએ વધાવી લીધો છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં આગામી નવરાત્રિ તહેવારો તેમજ લગ્ન પ્રસંગોની સાંસ્કૃતિક ધરોહર મુજબ ઉજવણી થાય તેવા હેતુથી અને આવા પ્રસંગો સાથે સંકળાયેલા નાના વ્યવસાયકારોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને જનહિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે યોજેલી બેઠકમાં આ નિર્ણયો કરાયો હતો.
નવરાત્રિ માટેની ગાઇડલાઇન
- રાજ્યના જે 8 મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં હાલ રાત્રિ કરફયૂ અમલમાં છે, ત્યાં 25 સપ્ટેમ્બર, 2021ના રાત્રિના 12 કલાકથી 10 ઓક્ટોબર, 2021 સવારે 6 કલાકે સુધી દરરોજ રાત્રિ કરફયૂ અમલમાં રહેશે.
- રાત્રિ કરફયૂની સમય મર્યાદા અત્યારે રાત્રિના 11 થી સવારના 6 કલાક સુધીની છે, તેમાં એક કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે, હવે રાત્રિના 12 થી 6 કલાક સુધી રાત્રિ કરફયૂ રહેશે.
- આગામી દિવસોમાં રાજ્યમાં નવરાત્રિ પર્વની ઉજવણી થવાની છે, તે સંદર્ભમાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીએ માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફલેટના ગરબા, દુર્ગા પૂજા, વિજ્યા દશમી ઉત્સવ, શરદ પૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનોમાં 400 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
- લગ્ન પ્રસંગોમાં અગાઉ 150 વ્યક્તિઓની મર્યાદા હતી, જેમાં વધારો કરીને હવે 400 વ્યક્તિઓને છૂટ આપવામાં આવી છે.
- જાહેર અને ખાનગી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોય તે જરૂરી છે.
- આ પ્રકારના આયોજનોમાં લાઉડ સ્પીકર/ધ્વની નિયંત્રણ અંગેના સુપ્રિમ કોર્ટના આદેશોનું પાલન ફરજિયાતપણે કરવાનું રહેશે.
- રાજ્યમાં પાર્ટી પ્લોટ, કલબ, ખૂલ્લી જગ્યાએ કે કોઇ પણ જગ્યાએ કોમર્શીયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે નહીં.
- અંતિમક્રિયા અને દફનવિધિમાં 40 વ્યક્તિઓની મર્યાદા હતી, તેમાં વધારો કરીને હવે 100 વ્યક્તિઓની છૂટ આપવામાં આવશે.
- રાજ્યમાં રેસ્ટોરા રાત્રિના 10 કલાક સુધી અગાઉ ક્ષમતાના 60 ટકા સાથે ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી, જેમાં વધારો કરીને હવે ક્ષમતાના 75 ટકા સાથે ચાલુ રાખી શકાશે.
- રાજ્યમાં જાહેર બાગ બગીચા અગાઉ રાત્રિના 9 કલાક સુધીમાં ખુલ્લા રહેતા હતા, તે પણ હવે રાત્રિના 10 કલાક સુધી ખૂલ્લા રાખી શકાશે
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને કારણે ગત વર્ષે ગરબાના આયોજનને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી ન હતી. જો કે, હવે રાજયમાં કોરોના વાયરસના કેસ સતત ઘટતા જોવા મળી રહ્યા છે. જેથી સોસાયટી અને ફાર્મ હાઉસીસમાં તથા શેરી ગરબાને નિશ્ચિત નિયમો સાથે મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા નવરાત્રિ દરમિયાન રાત્રિ કરફ્યૂમાં પણ 1 કલાકની રાહત આપવામાં આવી છે. હવે કરફ્યૂ રાત્રિના 12 કલાકથી લાગુ પડશે, જે સવારે 6 કલાક સુધી લાગુ રહેશે.