Weather: રાજ્યમાં આગામી 3 દિવસમાં ગરમીથી મળશે આંશિક રાહત, જાણો હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં આગ ઝરતી ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા થોડા રાહતના સમાચાર છે.
અમદાવાદઃ ગુજરાતમાં આગ ઝરતી ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા થોડા રાહતના સમાચાર છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. બંગાળની ખાડીમાંથી મજબૂત નૈઋત્યના દરિયાઈ પવનો ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર પર ફૂંકાવાનુ શરુ થતાં ધોમધખતા તાપથી આંશિક રાહત મળી છે. જો કે, આગામી 3 દિવસ બાદ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રી સુધીનો વધારો થવાની સંભાવના છે.
ગરમીની તીવ્રતામાં સામાન્ય ઘટાડો
અમદાવાદમાં છેલ્લા અમુક દિવસોની સરખામણીમાં ગરમીની તીવ્રતામાં સામાન્ય ઘટાડો અનુભવાયો છે. સોમવારે અમદાવાદમાં 40.7 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા 1 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. રાતનુ લઘુત્તમ તાપમાન 25 ડિગ્રીથી વધારે નોંધાયુ હતુ. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદમાં 41 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાનનો પારો નોંધાઈ શકે છે.
આગામી 5 દિવસ હીટવેવની આગાહી નથી
રાજ્યના મોટાભાગના શહેરોમાં સોમવારે તાપમાનનો પારો 38 ડિગ્રીથી 42 ડિગ્રી સુધી રહ્યો હતો. જેમાં રાજકોટમાં સૌથી વધુ ગરમી 41.6 ડિગ્રી અને વેરાવળમાં સૌથી ઓછી 32.6 ડિગ્રી નોંધવામાં આવ્યુ છે. અમદાવાદમાં 40.7 ડિગ્રી, વડોદરામાં 40.1 ડિગ્રી, ભૂજમાં 39.7 ડિગ્રી, ભાવનગરમાં 39.5 ડિગ્રી, ગાંધીનગરમાં 39.8 ડિગ્રી, જૂનાગઢમાં 41 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ છે. વળી, હવામાન વિભાગની આગાહી મુજબ 10થી 15 એપ્રિલ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી. તાપમાન 40 ડિગ્રીની આસપાસ સ્થિર રહે તેવી શક્યતા છે. જો કે, આગામી 5 દિવસ હીટવેવની પણ કોઈ આગાહી નથી.
કાળઝાળ ગરમીમાં આંશિક રાહતનો અનુભવ
તમને જણાવી દઈએ કે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં દરિયા તોફાની બનવાના કારણે માછીમારોને 15મી સુધી દરિયા નહિ ખેડવાની સૂચના આપવામાં આવી છે. વળી, આજે વેસ્ટર્ન ડિસ્ટર્બનન્સ પશ્ચિમ હિમાયલન વિસ્તારમાં ત્રાટકવાનુ હોઈ તેની અસર રૂપે ઉત્તર-પશ્ચિમ ભારતમાં તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાનમાં ફેરફારની અસર હેઠળ ગુજરાતમાં આજે એકંદરે નૈઋત્ય અને પશ્ચિમ તરફથી પવનો ફૂંકાવાનુ શરુ થયુ છે. જેના કારણે સૌરાષ્ટ્ર બાજુ કાળઝાળ ગરમીમાં આંશિક રાહતનો અનુભવ થયો છે.