બિહાર અકસ્માત, 7 બાળકો સહિત 12 લોકોના મોત, રાષ્ટ્રપતિ અને PMએ વ્યક્ત કર્યો શોક, વળતરનુ એલાન
બિહારના વૈશાલીમાં રવિવારે રાતે મોટી દૂર્ઘટના બની ગઈ. દેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક માર્ગ અકસ્માતમાં 7 બાળકો સહિત 12 લોકોના મોત નીપજ્યા છે.
પટનાઃ બિહારના વૈશાલીમાં રવિવારે રાતે મોટી દૂર્ઘટના બની ગઈ. દેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક માર્ગ અકસ્માતમાં 7 બાળકો સહિત 12 લોકોના મોત નીપજ્યા છે. મળતી માહિતી મુજબ સુલતાનપુર ગામ પાસે એક તેજ ગતિએ આવી રહેલી ટ્રક અનિયંત્રિત થઈને એક શોભાયાત્રા(ધાર્મિક કાર્યક્રમ)માં ઘૂસી જતા 7 બાળકો સહિત 12 લોકોના મોત થઈ ગયા અને ઘણા લોકો ઘાયલ થયા છે. આ દૂર્ઘટના પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી નીતિશ કુમાર, લોકસભા સ્પીકર ઓમ બિરલા સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.
ઘટના પટનાથી લગભગ 30 કિમી દૂર વૈશાલી જિલ્લામાં રાત્રે 9 વાગ્યાની આસપાસ બની હતી. લોકો સ્થાનિક દેવતા 'ભૂમિયા બાબા'ને પ્રાર્થના કરવા માટે રસ્તાની બાજુના પીપળાના વૃક્ષની સામે એકઠા થયા હતા. સમાચાર એજન્સી ભાષાએ વૈશાલીના પોલીસ અધિક્ષક મનીષ કુમારને ટાંકીને અહેવાલમાં લખ્યુ છે કે, 'લગ્ન સંબંધિત રીતિ-રિવાજો અનુસાર શોભાયાત્રા કાઢવામાં આવી હતી. નજીકના સુલતાનપુર ગામમાં રહેતા એક વ્યક્તિના ઘરે થોડા દિવસોમાં લગ્ન નક્કી હતા. બાજુમાં આવેલા મહનાર-હાજીપુર હાઈવે પર પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. અમે ટ્રક ડ્રાઈવરને ક્ષતિગ્રસ્ત વાહનમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેનુ પણ મૃત્યુ થયુ હોવાની આશંકા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ટ્વીટ કરીને કહ્યુ, 'બિહારના વૈશાલીમાં થયેલા માર્ગ અકસ્માતમાં બાળકો સહિત જાનહાનિના સમાચાર અત્યંત દુઃખદાયક છે. હું આ દુર્ઘટનામાં તેમના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરુ છુ અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરુ છુ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વૈશાલીમાં થયેલા અકસ્માતમાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી મૃત્યુ પામેલા લોકોના પરિજનો માટે 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની વળતરની જાહેરાત પણ કરી હતી. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા ટ્વીટમાં કહેવામાં આવ્યુ છે કે બિહારના વૈશાલીમાં થયેલ અકસ્માત દુઃખદ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરુ છુ. PMNRF દરેક મૃતકના પરિજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાય આપશે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ વૈશાલીમાં માર્ગ અકસ્માતમાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું કે સીએમ નીતિશ કુમારે માનક પ્રક્રિયા અનુસાર પરિવારના સભ્યોને એક્સ-ગ્રેશિયા આપવાના નિર્દેશ આપ્યા છે અને ઘાયલોની સારવાર માટે સૂચનાઓ આપવામાં આવી છે.