કોંગ્રેસને મદદ કરવા કેજરીવાલે બનાવી પાર્ટીઃ સુબ્રમણ્યમ સ્વામી
એક પત્રકાર પરિષદમાં સ્વામીએ કેજરીવાલ પર આરોપ લગાવતા કહ્યું છે કે તે અત્યારસુધી કોંગ્રેસના સભ્ય તરીકે કામ કરતા આવ્યાં છે અને તેમણે યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો વિરુદ્ધ ક્યારેક કંઇ કર્યું નથી.
સ્વામીએ એ વાતનો દાવો કર્યો છેકે કેજરીવાલે આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મદદ કરવા માટે રાજકીય પાર્ટીની રચના કરી છે. તેમણે કહ્યું છે કે આગામી ચૂંટણીમાં જનતા પાસે ભ્રષ્ટાચાર અને આતંકવાદનો મુદ્દો મુખ્ય હશે અને જનતા એનડીએ માટે મતદાન કરશે. તેમણે કહ્યું કે આગામી ચૂંટણી પછી કોંગ્રેસ પાર્ટી સત્તામાં નહીં આવે.
નોંધનીય છેકે મંગળવારે દિલ્હીના કોન્સ્ટિટ્યૂશનલ ક્લબમાં ચાલી રહેલા ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના કાર્યક્રમમાં પોતાની પાર્ટીનો એજેન્ડા જાહેર કર્યા પછી અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમારી પાર્ટીએ જે કંઇપણ વિચાર્યું છે તે અંગે અમે તમને જણાવી દીધું છે. અમે સત્તા પરિવર્તન નહીં,પરંતુ વ્યવસ્થા પરિવર્તન કરવા જઇ રહ્યાં છીએ. કેજરીવાલે કહ્યું કે અમને રાજકારણ આવડતું નથી, પરંતુ જનતા માટે અમારે આ કરવું પડે છે. દેશમાં જનતંત્ર કે પ્રજાતંત્ર નામની કોઇ વસ્તુ નથી. ભાજપ અને કોંગ્રેસ બન્નેએ દેશને લૂટ્યો છે અને જનતાનો ઉપયોગ કરી દગો કર્યો છે.