નરેન્દ્ર મોદી માટે વિઝા પોલિસીમાં કોઇ ફેરફાર નહીં : US
વૉશિંગ્ટન, 14 સપ્ટેમ્બર : ભારતના મુખ્ય વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત કરી દીધા છે. જો કે અમેરિકાનું કહેવું છે કે મોદીના સંદર્ભમાં તેની વિઝા પાલિસીમાં કોઇ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.
આ અંગે અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેરી હર્ફે સંવાદદાતાઓને જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી અમારી વિઝા નીતિમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગુજરાતના મુખ્યમંત્રી જો સામાન્ય વ્યક્તિની જેમ વિઝા માટે અરજી કરશે તો તેમનું સ્વાગત છે. અરજી કર્યા બાદઅન્ય અરજીદાતાઓની જેમ તેમના વિઝાની સમીક્ષા કરવામાં આવે તેની રાહ જોવાની રહેશે.
તેમણે જણાવ્યું કે ચોક્કસ રીતે આ સમીક્ષા અમેરિકન કાયદાને અનુસાર જ થશે. હું કોઇ અટકળ લગાવવા જઇ નથી રહી કે સમીક્ષાનું પરિણામ શું હશે. હર્ફે જણાવ્યું કે અમેરિકા સ્વયંને ઘરેલું ભારતીય રાજકારણમાં કે અન્ય કોઇ દેશની અંગત બાબતોમાં પોતાને સામેલ કરવા ઇચ્છતું નથી.
તેમણે જણાવ્યું કે અમને ભારતના આંતરિક રાજકારણમાં કોઇ રસ નથી. જો નરેન્દ્ર મોદી અન્ય અરજીદાતાઓની જેમ વિઝા માટે અરજી અને સમીક્ષા થાય ત્યાં સુધી રાહ જોઇ શકે એમ છે તો તેમ કરવા માટે તેઓ સ્વતંત્ર છે. હર્ફે જણાવ્યું કે તેઓ ભારતના આંતરિક રાજકારણ પર કોઇ ટિપ્પણી કરવા માંગતા નથી.