ઓબામાની ભારત મુલાકાત પહેલા 2002ના ગુજરાત રમખાણોમાં અમેરિકાની અદાલતે મોદીને આપી ક્લિનચીટ
ન્યુયોર્ક, 15 જાન્યુઆરી : ભારતના 66મા ગણતંત્ર નિમિત્તે અમેરિકાના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથી તરીકે ભારત આવે તે પહેલા જ અમેરિકાની અદાલતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2002 ગુજરાત રમખાણ કેસમાં ક્લિનચીટ આપી દીધી છે.
બુધવારે અમેરિકાના એક જજે પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ નરસંહારના કેસને નકારી કાઢ્યો છે. આ કેસમાં નરેન્દ્ર મોદી પર મુસ્લિમોના નરસંહારનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જેના કારણે તેમની સામે માનવ અધિકારોના હનનનો પણ આરોપ લગાવાયો હતો.
ન્યુયોર્કના જજ એનલિસા ટૉરેસે નરેન્દ્ર મોદી વિરુધ્ધના કેસને એ આધાર પર નકારી કાઢ્યો કે મોદી તેમની અદાલતના ન્યાય અધિકાર ક્ષેત્રમાં નથી આવતા.
બીજી તરફ અમેરિકાની સરકારે પીએમ મોદી સામેનો આ કેસ એમ કહીને કોર્ટમાંથી પાછો ખેંચવાની અપીલ કરી કે નરેન્દ્ર મોદી ભારતના સર્વોચ્ચ પદ પર બિરાજમાન છે. આવી સ્થિતિમાં તેમને આ કેસમાં રાહત આપવી જોઇએ.
નોંધનીય છે કે અમેરિકામાં માનવ અધિકાર સંગઠને પીએ મોદી વિરુદ્ધ આ કેસ સપ્ટેમ્બર, 2014માં દાખલ કર્યો હતો. તેમાં મોદી પર આરોપ લગાવાયો હતો કે મોદીએ નરસંહાર કરાવ્યો છે, સાથે જ આરોપીઓને માફ કરી દીધા છે. નોંધીનીય છે કે મોદી સામે આ કેસ તેમની અમેરિકાની મુલાકાતના બરાબર એક દિવસ પહેલા નોંધાયો હતો. હવે બરાક ઓબામાના આગમનના બરાબર 10 દિવસ બાકી છે ત્યારે કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો છે.