નવરાત્રી:આ મંદિરની જ્વાળા વર્ષોથી તેલ, ઘી વગર પ્રજ્વલિત છે
હિમાચલના કાંગડામાં જ્વાળા માતાનું મંદિર આવેલું છે. જેમાં ઘણા વર્ષોથી તેલ કે ઘી વિના જ્વાલા પ્રજ્વલિત છે. આ મંદિરમાં કોઇ મૂર્તિની પૂજા કરવામા નથી આવતી. આ અંગે વધુ વાંચો અહીં..
ગુજરાતનો મુખ્ય તહેવાર એટલે નવરાત્રી. નવરાત્રીમાં માં અંબાના નવે રૂપોની પૂજા કરવામાં આવે છે. માં અંબાના ઘણા બધા રૂપો છો અને આપણા પુરાણોમાં પણ સૃષ્ટિની ઉત્પત્તિ બાબતે ઘણી ગાથાઓ પણ છે. આપણા જેટલા પણ દેવી-દેવતાઓના મંદિરો છે, તેમની પાછળ કોઈને કોઇ કથા ચોક્કસ છે. તો આજે અમે તમને એક એવા જ દૈવી સ્થળની સફરે લઈ જવાના છીએ, જ્યાં માં અંબા, માં દુર્ગાના સાક્ષાત દર્શન થાય છે.
તમે સૌને માતા પાર્વતીના પિતા એ કરેલા યજ્ઞની વાર્તા તો યાદ જ હશે ને. જેમાં ભગવાન શંકરનું અપમાન થવાથી માતા પાર્વતીએ યજ્ઞમાં પોતાની આહુતિ આપી દીધી હતી. આ ઘટનાની જાણ જ્યારે ભગવાન શંકરને થઈ તો તેઓ માતા પાર્વતીને તેમના પિતાના ઘરેથી ફરી પાછા હિમાલય લઇ જવા પહોંચ્યા હતા. માતા પાર્વતીને ભગવાન શંકર જ્યારે હિમાલય તરફ લઈ જતા હતા ત્યારે માતાના શરીરના અંગો ધરતી ઉપર પડતા જતા હતા. એ અંગો જે સ્થાને પડ્યા હતા તે સ્થાને આજે મંદિરો બની ગયા છે. તો ચાલો આવા જ એક સ્થળની આજે મુલાકાત લઇએ...
માતાની જીભ અહીં પડી હતી
કહેવાય છે કે, હિમાચલના કાંગડામાં જ્યાં આ મંદિર આવેલું છે, ત્યાં જ માતા પાર્વતીની જીભ પડી હતી. આ મંદિરને 'જ્વાળામુખી મંદિર' અથવા 'જ્વાલાજી મંદિર'ના નામથી ઓળખવામાં આવે છે. હિમાચલના કાંગડા ઘાટીની દક્ષિણમાં આવેલુ આ મંદિર કાંગડાથી 30 કિ.મી. દુર છે. આ મંદિરનું મુખ્ય આકર્ષણ માતાની અગ્નિ જ્વાળા છે. આ મંદિરમાં મહાકાળી, અન્નપુર્ણા, ચંડી, હિંગળાજ, મહાલક્ષ્મી, સરસ્વતી, અંબિકા માતાની પણ અલગ- અલગ અગ્નિ જ્વાળા આવેલી છે.
મંદિર છે અનોખુ
ભારતમાં આવેલા અન્ય મંદિરો કરતા આ મંદિર ખુબ જ અનોખુ છે. આ મંદિરમાં કોઇ મૂર્તિની નથી, જમીનના પેટાળમાંથી નીકળતી જ્વાળાની જ પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં અલગ- અલગ નવ જગ્યાએથી જ્વાળા નીકળે છે, જેને નવ દુર્ગાના નામ આપવામાં આવ્યા છે. આ મંદિરનું નિર્માણ સૌ પ્રથમ રાજા ભૂમિચંદે કરાવ્યુ હતું. એ બાદ મહારાજા રણજીત સિંહ અને રાજા સંસારચંદના સમયમાં એટલે કે ઇ.સ. 1835માં તેનું કામ પૂર્ણ થયું.
મંદિરમાં શા માટે જ્વાળા સતત બળતી રહે છે ?
એક પૌરાણીક કથા અનુસાર પ્રાચીન કાળમાં ગોરખનાથ માતાની પુરા મનથી ભક્તિ કરતા હતા. માતા પણ ભક્ત ગોરખનાથને પોતાના પુત્રની જેમ જ માનતા હતા. ગોરખનાથની ભક્તિથી મા એટલા પ્રસન્ન હતા કે તેની તમામ મનોકામના પુરી કરતા હતા. એક વખત ભક્ત ગોરખનાથને ભૂખ લાગી હતી. તેણે જ્વાળા માતાને કહ્યુ કે, માં તમે તમારી અગ્નિથી પાણી ગરમ કરી રાખો. હું ભિક્ષા માંગીને આવું છું. માતાએ ભક્તની માંગણી માની અને અગ્નિ પ્રગટાવી. ગોરખનાથ ભિક્ષા માંગવા ગયો પણ પાછો ન આવ્યો. કહેવાય છે કે માતાએ આ અગ્નિને ગોરખનાથ પાછો આવશે તેવી આશા સાથે જ્વલિત રાખી છે. માન્યતા અનુસાર, કળયુગ પુરો થશે અને સતયુગ શરૂ થશે ત્યારે ગોરખનાથ ફરી માતા પાસે આવશે. આ જ્યોત આજે પણ ચાલુ છે. આ જ્યોતને બળતી રાખવા માટે કોઇ તેલ કે ઘી નાંખવામાં નથી આવતા, આમ છતાં આ જ્વાળા ઓલવાતી નથી.
ચમત્કારી ગોરખ ડબ્બી
જ્વાલા મંદિરમાં એક ગોરખ ડબ્બી કરીને કૂંડ આવેલો છે. આ કૂંડમાં ધ્યાનથી જોવામાં આવે તો તેમાં પાણી ઊકળતુ હોય તેવુ લાગે છે, જો કે તેને અડતા જ પાણી એકદમ ઠંડુ લાગે છે. મંદિર પરિસરમાં આવેલા આ મંદિરને 'ગોરખનાથના મંદિર' તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે, માતા આજે પણ પોતાના ભક્ત ગોરખનાથ માટે પાણી ગરમ કરી રહ્યાં છે.
રાજા અકબરે કરી હતી માતાની પરીક્ષા
કહેવાય છે કે, માતાની શક્તિ વિશે જ્યારે રાજા અકબરને જાણ થઈ ત્યારે અકબરે માતાની શક્તિની પરીક્ષા લેવાનું વિચાર્યું. રાજા અકબરે માતાની જ્યોતિ જ્યાં પ્રજ્વલિત છે, એ જગ્યાને લોખંડના દરવાજાથી બંધ કરી નાખી. જેથી એ જ્વાળા બંધ થઈ જાય પરંતુ તેની જગ્યાએ જ્યોતિ લોખંડને ગાળીને બહાર નીકળી આવી હતી. એ બાદ પાણી નાખીને પણ જ્યોતિને ઠારવોનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એ પણ સફળ ન થઈ શક્યો.
રાજા અકબર દિલ્હીથી કાંગડા પગે ચાલીને આવ્યા
માતાની આટલી પરીક્ષા લીધા બાદ રાજા અકબરને પોતાની ભૂલનો અનુભવ થયો. આથી તેઓ માતાની માફી માંગવા દિલ્હીથી કાંગડા સુધી ખુલ્લા પગે આવ્યા હતા. અકબરે માતાની માફી માંગતા સવા મણનું સોનાનું છત્તર પણ ચઢાવ્યું હતું. પરંતુ માતા તેના પર પ્રસન્ન ના થયા અને તેના છત્તરનો પણ સ્વીકાર ન કર્યો. માતાએ એ સોનાના છત્તરને કોઈ બીજી જ ધાતુ બનાવી નાખી. આજે પણ વૈજ્ઞાનિકો એ ધાતુ કઇ છે તે જાણી નથી શક્યા. માતા જ્વાળાજીની આવી અનેક દંતકથાઓ આજે પણ ઘણી પ્રસિદ્ધ છે.