Moonlightingના ચક્કરમાં જઈ શકે છે તમારી નોકરી, જાણો શું કહે છે ભારતીય કાયદો?
જો તમે તમારી જૉબ શિફ્ટ પૂર્ણ કર્યા પછી કોઈ પણ રીતે થોડી વધારાની કમાણી કરો છો તો તમારે આ સમાચાર ચોક્કસપણે વાંચવા જોઈએ.
નવી દિલ્લીઃ જો તમે તમારી જૉબ શિફ્ટ પૂર્ણ કર્યા પછી યુટ્યુબ પર વ્યુઝ એકત્રિત કરીને, ઇન્સ્ટા પર લાઇક્સ વધારીને અથવા ઑનલાઈન-ઑફલાઈન ટ્યુશન ભણાવીને અથવા તમારી કોડિંગ કુશળતા દર્શાવીને થોડી વધારાની કમાણી કરો છો તો તમારે આ સમાચાર ચોક્કસપણે વાંચવા જોઈએ. પગાર પછી કંઈક એકસ્ટ્રા મળે તો કોને ન ગમે? પણ આના ચક્કરમાં જૉબ છૂટી જાય તો? હા, તાજેતરમાં IT કંપની વિપ્રોના 300 કર્મચારીઓ સાથે આવું જ કંઈક થયુ. દેશની અગ્રણી આઇટી કંપની વિપ્રોએ તેના 300 કર્મચારીઓને મૂનલાઇટિંગના આરોપમાં કાઢી મૂક્યા છે. જે મૂનલાઈટિંગ(Moonlighting)ના કારણે પળવારમાં 300 લોકોએ તેમની નોકરી ગુમાવી તેને સમજવુ જરુરી છે. આ મૂનલાઇટિંગ ખરેખર શું છે અને આ શબ્દ ક્યાંથી આવ્યો? છેલ્લા અમુક દિવસોમાં 'મૂનલાઇટિંગ' શબ્દ ખૂબ જ લોકપ્રિય બન્યો છે. આને લઈને ટેક્નોલૉજી પ્રોફેશનલ્સ અને આઈટી કંપનીઓ વચ્ચે નવી ચર્ચા શરૂ થઈ છે. જો તમે નોકરી કરતા હોવ તો તમારે તેના વિશે પણ જાણવુ જોઈએ. અમે તમને આજે માત્ર મૂનલાઇટિંગ વિશે જ નહિ પરંતુ ભારતીય કાયદો તેના વિશે શું કહે છે તેની માહિતી પણ આપી રહ્યા છીએ.
મૂનલાઈટિંગ શું છે?
જો સરળ ભાષામાં સમજીએ તો જ્યારે કર્મચારી તેની નિયમિત નોકરી ઉપરાંત કંપનીને જાણ કર્યા વિના અન્ય સ્થળોએ કામ કરે તો તેને ટેકનિકલી 'મૂનલાઇટિંગ' કહેવામાં આવે છે. જ્યારે કંપનીઓએ કોરોના મહામારી દરમિયાન વર્ક ફ્રોમ હોમ કરવાનુ શરૂ કર્યુ ત્યારે ભારતમાં મૂનલાઇટિંગ ઝડપથી વિસ્તર્યુ. આની સામે મોરચો ખોલનારા વિપ્રોના ચેરમેન રિશાદ પ્રેમજીનુ કહેવુ છે કે આનાથી માત્ર કર્મચારીઓની કાર્યક્ષમતા પર અસર નથી થતી પરંતુ કંપનીઓની સુરક્ષા પણ જોખમમાં આવે છે.
કેમ થઈ રહી છે મૂનલાઈટિંગની ચર્ચા
ભારતમાં હાલમાં મૂનલાઇટિંગની ખૂબ ચર્ચા થઈ રહી છે. આઇટી પ્રોફેશનલ્સમાં તેનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. કેટલીક કંપનીઓ તેને સમર્થન આપી રહી છે તો મોટી આઈટી કંપનીઓ તેનો વિરોધ કરી રહી છે. જેના કારણે ખાસ કરીને આઈટી સેક્ટરમાં નવી ચર્ચા શરૂ થઈ છે. ભારતમાં આ ચર્ચાએ વેગ ત્યારે પકડ્યો જ્યારે વિપ્રોએ તેના 300 કર્મચારીઓને મૂનલાઇટિંગના આરોપસર કાઢી મૂક્યા. વિપ્રોના આ પગલા બાદ આઈટી કંપનીઓ ઈન્ફોસિસ, આઈબીએમ અને ટીસીએસએ પણ ઈન્ટરનેટ મેઈલ લખીને પોતાના કર્મચારીઓને આ અંગે ચેતવણી આપી છે.
ક્યાંક સમર્થન તો ક્યાંક વિરોધ
જ્યારે મોટી આઈટી કંપનીઓ આનો વિરોધ કરી રહી છે ત્યારે તાજેતરમાં ફૂડ ડિલિવરી કંપની સ્વિગીએ પોતાને ત્યાં મૂનલાઈટિંગને મંજૂરી આપી છે. કંપનીએ કહ્યુ કે કામકાજના કલાકો પછી કર્મચારીઓ જો ઇચ્છે તો અન્ય પ્રોજેક્ટ પર કામ કરી શકે છે. સ્વિગી ઉપરાંત ટેક મહિન્દ્રાના સીઈઓ સીપી ગુરનાનીએ પણ આ વાતનુ સમર્થન કર્યુ છે. તેમણે કહ્યુ કે આપણે સમયની સાથે બદલાતા રહેવુ જોઈએ અને જો કર્મચારીઓ તેમની શિફ્ટ પૂરી થયા પછી અન્ય કામ કરે તો તેમાં કંઈ ખોટુ નથી. કંપનીઓની સાથે સાથે કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને કૌશલ્ય વિકાસ મંત્રી રાજીવ ચંદ્રશેખરે મોટુ નિવેદન કરીને મૂનલાઈટિંગને સમર્થન આપ્યુ હતુ. તેમણે કહ્યુ કે કંપનીઓએ કર્મચારીઓના સપનાઓ પર લગામ ન લગાવવી જોઈએ.
શું કહે છે કાયદો
આ બધી ચર્ચા પછી એ જાણવુ પણ જરૂરી છે કે મૂનલાઈટિંગ અંગે કાયદો શું કહે છે. ફેક્ટરી એક્ટ, 1948 હેઠળ ભારતમાં બમણા રોજગાર પર પ્રતિબંધ છે. જો કે દેશના ઘણા રાજ્યોમાં આઈટી કંપનીઓને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. વળી, ભારતીય શ્રમ કાયદામાં મૂનલાઈટિંગને લગતો કોઈ વિશેષ કાયદો નથી. એટલે કે એ સ્પષ્ટ છે કે જો આપણે કાયદાની વાત કરીએ તો તેના સંબંધમાં કોઈ ચોક્કસ કાયદો નથી, જે પણ નિયમ છે તે ફેક્ટરી અને કામદારો માટે છે. જે મુજબ જો તમારા જૉબ કૉન્ટ્રાક્ટમાં સિંગલ અમ્પ્લૉયમેન્ટ અથવા નૉન કમ્પીટ હોય તો તમે મૂનલાઈટિંગ એટલે કે સેકન્ડ જૉબ ના કરી શકો. જો આમ કરતા જોવા મળો તો તમારી સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. બીજી બાજુ જો તમારા જૉબ કોન્ટ્રાક્ટમાં આવો કોઈ કલૉઝ ના હોય તો તમે બીજી નોકરી કરી શકો છો પરંતુ તે મહત્વનુ એ છે કે તમે પહેલા તમારા કૉન્ટ્રાક્ટને ધ્યાનથી વાંચો.