મતદાન જાગૃતિ અર્થે શિક્ષકોએ રચી માનવસાંકળ
અમદાવાદમાં 2000 શિક્ષકોએ માનવ સાંકળ રચીને લોકોને આ વખતની ચૂંટણીમાં મત કરવા માટે અપીલ કરી હતી. આ અંગે વધુ વાંચો અહીં .
અમદાવાદ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ જાગૃતિ કાર્યક્રમ હાથ ધરાયા છે. કાર્યક્રમમાં કલેક્ટર અવંતિકા સિંઘ ઉપસ્થિત રહ્યા હતા. આજે અમદાવાદ શહેરમાં મતદાન જાગૃતિ માટે શિક્ષકો દ્વારા 'માનવ-સાંકળ' રચવામાં આવી હતી. અને શહેરીજનોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે શહેર-જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા યોજાયેલી આ 'માનવ-સાંકળ'માં ૨૦૦૦થી વધુ શિક્ષકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા જિલ્લા કલેક્ટર શ્રીમતી અવંતિકાસિંઘે જણાવ્યું હતું કે, શહેર-જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે સમગ્ર જિલ્લા ચૂંટણી અને વહીવટીતંત્રએ અનેક કાર્યક્રમો યોજ્યા છે.
જાગૃતિ રેલી- શેરી નાટકો-સાયકલ-બાઇક રેલી, વિકલાંગ મતદારોને માર્ગદર્શન- VVPAT અંગે માર્ગદર્શન, રંગોળી સ્પર્ધા, વોટોત્સવ એન્થમ જેવા અનેક પ્રયાસોને શહેરીજનોએ આવકાર આપ્યો છે. શહેર-જિલ્લાના મતદારો-યુવા મતદારો અને જે પ્રથમ વખત મતદાન કરવાના છે એવા મતદારોને પણ આકર્ષવા કામગીરી કરાઇ છે. આ પ્રયાસોમાં શિક્ષકોનો સહયોગ પ્રશંસનીય રહ્યો છે એમ તેમણે ઉમેર્યુ હતું. ત્યારે આ સમગ્ર વિસ્તાર 'આપણો મત, આપણો અધિકાર', 'વોટ કરીશું વટથી', 'યુવા મતદાતા-ભાગ્યવિધાતા' જેવા નારાથી ગુંજી ઉઠ્યો હતો. જ્યારે માનવ-સાંકળમાં સહભાગી તમામ શિક્ષકોએ મતદાનની અપીલ કરતાં પેમ્ફ્લેટનો નિર્દેર્શન પણ કર્યા હતા..