દરેક હાથને કામ અને દરેક ખેતરને પાણી મળશે: વિજય રૂપાણી
ગાંધીનગર, 30 જાન્યુઆરી: સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા નર્મદાનાં પાણી દરેક ખેતરનાં શેઢા સુધી પહોંચાડવાં માટેનાં પ્રપ્રશાખા કેનાલની ભૂગર્ભ પાઇપલાઇનનાં કાર્યનો શુભારંભ આજે પાણી પૂરવઠા મંત્રી વિજયભાઇ રૂપાણીએ વિરમગામ તાલુકાનાં થોરી-મુબારક ગામે કરાવ્યો હતો. મંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, દરેક હાથને કામ અને દરેક ખેડૂતને પાણીની સુવિધા ઉપલબ્ધ થાય તેવી વિભાવના સાથે રાજ્ય સરકારે ખેડૂતનાં હિતની ચિંતા સેવી છે. મંત્રીએ આ ઉપલક્ષ્યમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નર્મદા ડેમ પર દરવાજા મુંકવાની મંજૂરી ફ્ક્ત ૧૭ દિવસમાં જ આપી દીધી હતી. ગતિશીલ ગુજરાતનાં પ્રણેતા શ્રીમતી આનંદીબેન પટેલે ખેડૂતો માટે રૂ.1200 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું. વગેરે જેવાં ખેડૂત હિતલક્ષી નિર્ણયોની રૂપરેખા તેઓએ આપી હતી.
ભૂગર્ભ પાઇપ લાઇન નંખાવાથી આ વિસ્તારના ખેડૂતને વર્ષમાં ચાર-ચાર પાક લેવાની સગવડ ઊભી થશે. નર્મદાનાં પાણીથી ખેતી લીલી છમ્મ અને હરિયાળી બને અને સમગ્ર રાષ્ટ્રમાં હરિત ક્રાંતિ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર બનશે તેવો વિશ્વાસ પણ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, નર્મદાની મોટી નહેર આપના વિસ્તારમાંથી પસાર થાય છે તેનો લાભ આપને મળી રહ્યો છે અને આસપાસની જમીનમાં ઘઉં,જીરૂ જેવા ધન-ધાન્યો લહેરાઇ રહ્યા છે તે નર્મદાના પાણી આપના દ્વાર સુધી આવ્યા છે તેનાં પરિણામે છે. મારૂતિ જેવા મોટા પ્રોજેક્ટ પણ આપનાં વિસ્તારમાં આવી રહ્યા છે જેથી આ વિસ્તારની કાયાપલટ થશે અને વધુને વધુ લોકોને રોજગારી મળશે તેમ મંત્રીએ ઉપસ્થિત જનમેદનીને જણાવ્યું હતુ. પૂર્વ ધારાસભ્ય પ્રાગજીભાઇ પટેલે જણાવ્યું કે, થોરી-મુબારક ગામ ભાગ્યશાળી છે કારણ કે આ ગામમાંથી પસાર થતી નર્મદાની મોટી કેનાલનો શુભારંભ આ ગામથી થયો હતો અને આજે ભૂગર્ભ લાઇન પ્રપ્રશાખાનો શુભારંભ પણ થોરી-મુબારક ગામમાંથી થઇ રહ્યો છે તે યોગનુયોગ છે. નર્મદાનાં મળનાર પાણીનો સદુપયોગ કરી આ વિસ્તારના દરેક ખેડૂતો સમૃધ્ધ બનશે તેવી અભિલાષા પણ તેમણે આ પ્રસંગે વ્યક્ત કરી હતી.
આ શુભારંભ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય વજૂભાઇ ડોડિયા, અમદાવાદ જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ શ્રીમતી સરલાબેન, સરદાર નિગમનાં ઇજનેર આર.કે.ઝા, વિરમગામ મામલતદાર શ્રીમતી ખ્યાતી પટેલ, નર્મદા નિગમનાં અધિકારીઓ તથા ગ્રામજનો અને અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.