આજે મોદીની હાજરીમાં રાદડિયા પિતા-પુત્ર ભાજપમાં જોડાશે
વિઠ્ઠલ રાદડિયા ભૂતકાળમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભા અને વિધાનસભાની ચુંટણીમાં જીત મેળવી ચુકેલા છે. તેમને તાજેતરમાં જ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. અને તેમના પુત્ર જયેશ રાદડિયા પણ પોતાના પદેથી રાજીનામું આપી ચુક્યાં છે. તેમને તાજેતરમાં પોરબંદર અને જુનાગઢ જિલામાં પોતાના સમર્થકો સાથે બેઠક યોજી હતી.
સૌરાષ્ટ્રના રાજકારણમાં પરિવર્તનનો પવન ફૂંકાઇ રહ્યો છે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસના એક મજબૂત નેતા તરીકે ઓળખાતા વિઠ્ઠલ રાદડિયાએ તેમને કોંગ્રેસમાં તેમની સાથે અન્યાય થઇ રહ્યો હોવાનો આરોપ લગાવી કોંગ્રેસ સાથે છેડો ફાડી દિધો છે, વિઠ્ઠલ રાદડિયાના ભાજપમાં જોડાવાના નિર્ણયથી કોંગ્રેસને ભારે ફટકો પડ્યો છે. ખાસ કરીને રાજકોટ જિલ્લામાં કોંગ્રેસના સૂપડાં સાફ થઇ ગયા હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. આગામી ટૂંક સમયમાં પોરબંદર બેઠકની લોકસભાની ચૂંટણી પણ યોજાવવાની છે અને તે ચૂંટણીમાં પણ રાદડિયા કોંગ્રેસ માટે માથાના દુખાવારૂપ સાબિત થઇ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વિઠ્ઠલભાઇને કેન્દ્રીય મંત્રીમંડળમાં નહી સમાવતા અને વિધાનસભામાં વિપક્ષી નેતા પણ નહીં બનાવતા પક્ષ પ્રત્યે તેમની ઉદાસીનતામાં વધારો થયો હતો. આ દરમિયાનમાં ભાજપે બન્ને પિતા-પુત્રને ભાજપમાં યોગ્ય સ્થાન આપવાના આમંત્રણ આપ્યું હતું. ત્યારે રાદડિયાબંધુએ ભાજપમાં જોડાવવાનો નિર્ણય કરી લીધો હતો. તેમના ભાજપમાં જોડાતા કોંગ્રેસને જોરદાર ફટકો પડશે.