વાયબ્રન્ટ સમીટમાં થયેલ MOUમાંથી ૧૮.ર૭ લાખ કરોડના મૂડીરોકાણની પ્રક્રિયા શરૂ
સૌરભ પટેલે જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાત સમીટ-ર૦૧૧ અંતર્ગત તા. ૩૧-૧ર-ર૦૧રની સ્થિતિએ ૧૮.૪૦ ટકા પ્રોજેકટ ડ્રોપ થયેલ છે. પ્રોજેકટ રદ થવાના અનેક કારણો હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, બજારની પરિસ્થિતિ, બિઝનેશ પ્લાનમાં ફેરફાર, નાણાંકીય તંગી, આર્થિક પોષણક્ષમતામાં ફેરફાર ઉપરાંત આંતરરાષ્ટ્રીય મંદી વગેરે કારણોસર પ્રોજેકટ ડ્રોપ થતા હોય છે.
મૂડીરોકાણ અને ઉત્પાદન પ્રક્રિયા અનેક પરિબળો પર આધારિત છે તેમ જણાવી સૌરભ પટેલે ઉમેર્યું હતું કે, નાના પ્રોજેકટના એમ.ઓ.યુ.નો ઉત્પાદનના તબક્કામાં આવતા બે થી ત્રણ વર્ષનો સમયગાળો તથા મોટા પ્રોજેકટના એમ.ઓ.યુ.ને પાંચ થી સાત વર્ષનો સમયગાળો લાગતો હોય છે. મૂડીરોકાણ એ સતત ચાલતી પ્રક્રિયા છે. મોનિટરીંગ સિસ્ટમમાં એમ.ઓ.યુ. કરેલ પ્રોજેકટના ખરેખર મૂડીરોકાણની માહિતી જયારે અપડેટ થયેલ હોય તે તારીખ મુજબની હોય છે એટલે કોઇ ચોક્કસ તારીખે થયેલ મૂડીરોકાણની વિગતો મેળવવી મુશ્કેલ હોય છે.
આ પાદ ભૂમિકા સાથે સૌરભ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ ર૦૧૧ના વાયબ્રન્ટ ગુજરાતમાં થયેલા કુલ રૂા. ર૦,૮૩,૦૦૦ કરોડના એમ.ઓ.યુ.માંથી ૧૮.૪૦ ટકા એમ.ઓ.યુ. ડ્રોપ થયા બાદ રૂા. ૧૮,ર૭,૬૯૭ કરોડના મૂડીરોકાણની પ્રક્રિયા ચાલુ છે. આ મૂડીરોકાણ કે એમ.ઓ.યુ.માં નગરપાલિકા હસ્તકની વિવિધ સેવાઓ સાથે શહેરી વિકાસને સ્પર્શતી યોજનાઓ માટેના પણ વિવિધ એમ.ઓ.યુ. થયા છે.
જે તે વાયબ્રન્ટ ગુજરાત સમીટમાં થતા એમ.ઓ.યુ.ના ફોલોઅપની વ્યવસ્થા પણ છે તે મુજબ ઇન્ડેક્ષ્ટ-બીને તેની જવાબદારી સોંપાઇ છે, તે કામગીરી સતત ચાલતી જ હોય છે.