જયંતિ ભાનુશાળીના સીડી કાંડમાં આવ્યો નવો વળાંક, પૂર્વ પતિએ પીડિતા પર જ લગાવ્યા ગંભીર આરોપો
કચ્છના અબડાસાથી ભાજપના ધારાસભ્ય જયંતિ ભાનુશાળી પર અને બ્લેક મેઈલિંગનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.
કચ્છના અબડાસાથી ભાજપના ધારાસભ્ય જયંતિ ભાનુશાળી પર અને બ્લેક મેઈલિંગનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. પીડિતાએ આરોપ લગાવ્યો હતો અમદાવાદમાં એડમિશન આપવાની લાલચ આપી અમદાવાદ એરપોર્ટની બાજુમાં આવેલ એક ગેસ્ટ હાઉસમાં લઈ જઈ જયંતિ ભાનુશાળીએ છોકરી પર રેપ કર્યો હતો અને સમગ્ર ઘટનાની વીડિયો ક્લિપ ઉતારી લીધી હતી. બાદમાં ભાનુશાળીની ઑફિસથી એક વ્યક્તિ આ ક્લિપને પેનડ્રાઈવમાં લઈને પીડિતાના ઘરે આવ્યો હતો અને તેને બ્લેક મેઈલ કરી હોવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો હતો.
વધુમાં પીડિતાએ આરોપ લગાવ્યા હતા કે ભાનુશાળીએ તો તેના પર રેપ કર્યો જ હતો પણ તે વીડિયો ક્લિપથી બ્લેક મેઈલ કરીને અન્ય લોકો સાથે પણ શારીરિક સંબંધો બાંધવા માટે દબાણ કરી રહ્યો હતો. ભાનુશાળીના સીડીકાંડની ક્લિપ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પીડિતાના નિવેદનને આધારે પોલીસે ફરિયાદ નોંધતાની સાથે જ ભાનુશાળી ભૂગર્ભમાં ઉતરી ગયો છે. જો કે આ બધાની વચ્ચે મંગળવારે પીડિતાનો પૂર્વ પતિ સામે આવ્યો અને તેણે યુવતી અંગે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા.
પૂર્વ પતિએ પીડિતા પર જ લગાવ્યા આવા આરોપો
મંગળવારે પીડિતાનો પૂર્વ પતિ મીડિયા સામે આવ્યો હતો અને તેણે યુવતી પર ગંભીર આરોપો લગાવ્યા. તેણે કહ્યું કે "તો એકદમ જૂઠ્ઠી છે. તે લોકોની સાથે શારીરિક સંબંધો બાંધી તેમની પાસેથી પૈસા પડાવવાના ધંધા કરતી હતી. કેટલીક યુવતીઓની આવી ટોળકી સક્રિય છે જે પુરુષોને સેક્સની લાલચ આપી તેમની ક્લિપ ઉતારતી અને બાદમાં તેમને બ્લેક મેઈલ કરે છે. મારી પત્ની હતી ત્યારે પણ તે કેટલાય પુરુષો સાથે ફોન પર વાત કરતી. છબીલ પટેલે દબાણ કરીને અમારા છૂટાછેડા કરાવ્યા હતા." જો કે પીડિતાના પૂર્વ પતિએ કહ્યું કે આ કેસમાં નામ ઉછાળવામાં આવેલ છબીલ પટેલ કોણ છે અને ક્યાં રહે છે તેની તેને કંઈ જ ખબર નથી. જો કે પીડિતાએ કહ્યું કે આ સમગ્ર આરોપો ખોટા છે.
ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું
આ મામલે ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે ભાનુશાળી સામે કેસ થયો છે આ મામલે જ્યાં સુધી તેઓ પર લાગેલા આરોપો સાચા સાબિત નહીં થાય ત્યાં સુધી તેઓ ભાજપમાં જ રહેશે. જો કે જીતુ વાઘાણીના આવા નિવેદનને કારણે તેમની ટીકા થઈ રહી છે. જણાવી દઈએ કે રાપકેસના આરોપો લાગતા જ ભાનુશાળી પાસેથી ગુજરાત ભાજપના ઉપપ્રમુખ તરીકે રાજીનામું માંગી લેવામાં આવ્યું હતું. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પરેશ ધાનાણીએ આ મામલે નિવેદન આપતા કહ્યું કે ગુજરાતની નિર્ભયા પર જે નરાધમોએ દુષ્કર્મ આચર્યું તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી જનતાએ બનાવેલા નેતાઓ બીજી વખત આવાં કાંડ કરતા પહેલાં સો વાર વિચારે.
જીજ્ઞેશ મેવાણીએ કર્યો પ્રહાર
ભાનુશાળી પર ગંભીર આરોપો લાગતા વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે નલિયા કાંડના પણ દબાઈ ગયું, હજુ સુધી નલિયા કાંડનો રિપોર્ટ સોંપાયો નથી ત્યારે નલિયા કાંડની માફક શા માટે બીજા કાંડને પણ સરકાર દબાવી રહી છે? જયંતિ ભાનુશાળીની ધરપકડ થવી જોઈએ અને પીડિતાને ન્યાય મળવો જોઈએ. જણાવી દઈએ નલિયા કાંડમાં નલિયા-કચ્છથી ભાજપના સ્થાનિક અગ્રણી નેતાઓ પર જાતિય દુર્વ્યવહારનો આરોપ લાગ્યો હતો.