ગુજરાત - રાજસ્થાન સરહદ પર પાકિસ્તાને હલચલ વધારી
આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત અહેવાલો અનુસાર પાકિસ્તાને પોતાના રેન્જર્સની રજાઓ કેન્સલ કરી ને હવે સીમા ચોંકીમાં રેન્જર્સની સંખ્યા વધારી દીધી છે. પંજાબ અને અન્ય સ્થાનોએથી રેન્જર્સને ગુજરાત અને રાજસ્થાન સીમા પર બનેલી ચોકીઓમાં તૈનાત કરાયા છે. પાકિસ્તાનની વધેલી હલચલને ધ્યાનમાં રાખીને બીજી તરફ બીએસએફે સરહદ પર ગઇકાલથી ઓપરેશન એલર્ટ શરૂ કરી દીધુ છે.
મહત્વની બાબત એ છે કે યુદ્ધના એંધાણ હોય તેમ પાકિસ્તાને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (પીઓકે) ખાતે પણ જમાવડો વધારી દીધો છે અને અનેક ગામો ખાલી કરાવ્યા છે. આ ઉપરાંત તેણે 626 તોપખાના રેજીમેન્ટને તૈનાત કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને કરેલા સીઝ ફાયર ભંગના પગલે ઉભી થયેલી પરિસ્થિતિથી તંગદીલી ફેલાઇ છે. આવી સ્થિતિ દરમિયાન 14 જાન્યુઆરી, 2013 સોમાવારના રોજ બંને દેશોના અધિકારીઓ વચ્ચે મળેલી ફલેગ મીટીંગનું કોઇ પરિણામ નહીં આવતા પાકિસ્તાને તેની હલચલ વધારી છે.
પાકિસ્તાને જે રીતે પશ્ચિમી સરહદે હલચલ વધારી છે તે જોતા ભારતીય દળો પણ એલર્ટ બની ગયા છે. પાકિસ્તાન રેન્જર્સે સીમા પાર બનેલા બંકરોની સફાઇ શરૂ કરી છે. પાકિસ્તાન તેને નિયમિત એકસરસાઇઝનો હિસ્સો ગણાવી રહ્યો છે. પરંતુ નિષ્ણાંતો તેને અલગ રીતે નિહાળે છે. સીમા પાર બનેલી પાકિસ્તાન બીઓપીમાં રેન્જર્સની સંખ્યા 4 થી 5 હોય છે.
જયારે ભારતીય બીઓપીમાં પુરી પ્લાટુન હોય છે. બીએસએફના મુકાબલે પોતાની તાકાત વધારવા માટે જ પાકિસ્તાને સિંધ તથા પંજાબ રેન્જર્સની રજા રદ્દ કરી છે. સોમવારે રેન્જર્સની સંખ્યા 8 થી 10 કરી દીધી હતી. નિષ્ણાંતોનું માનવુ છે કે, જમ્મુ-કાશ્મીર સીમા પર ઉઠેલા વિવાદ બાદ પાકિસ્તાને સમગ્ર ધ્યાન પશ્ચિમી સીમા પર કેન્દ્રીત કર્યુ છે.
પાકિસ્તાનની હરકતોને જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય બીએફએફએ પશ્ચિમી સરહદે ઓપરેશન એલર્ટ શરૂ કર્યું છે. આ માટે બટાલિયન હેડ કવાર્ટરમાં બેઠેલા જવાનોને બીઓપી નજીક પહેરો ભરવા મોકલી દીધા છે. ઓપરેશન હેઠળ પાયદળ, ઉંટ તથા વાહનથી પહેરો વધારી દેવામાં આવ્યો છે. ઠેર-ઠેર એમ્બુસ પાર્ટી તૈનાત કરવામાં આવેલ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ઓપરેશન 28મી સુધી ચાલશે. આ દરમિયાન ખાસ પહેરો ભરાશે.