આજથી રાજ્યમાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ, આવી હશે સંપુર્ણ પ્રોસેસ!
રાજ્યમાં ૨૯ ઓક્ટોબર એટલે કે લાભપાંચમથી 90 દિવસ સુધી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે પ્રાઇઝ સપોર્ટ સ્કીમ-PSS હેઠળ ખરીદી શરૂ કરાઈ છે.
ગાંધીનગર : રાજ્યમાં ૨૯ ઓક્ટોબર એટલે કે લાભપાંચમથી 90 દિવસ સુધી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે પ્રાઇઝ સપોર્ટ સ્કીમ-PSS હેઠળ ખરીદી શરૂ કરાઈ છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ કે, કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ ખરીફ વર્ષ ૨૦૨૨-૨૩ માટે મગફળીનો ટેકાનો ભાવ રૂ.૫,૮૫૦, મગનો રૂ.૭,૭૫૫, અડદનો રૂ.૬,૬૦૦ અને સોયાબિનનો રૂ.૪,૩૦૦ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. ખરીફ ૨૦૨૨-૨૩માં ગુજરાતમાં મગફળીના ૯,૭૯,૦૦૦ મે.ટન, મગના ૯,૫૮૮ મે.ટન, અડદના ૨૩,૮૭૨ મે.ટન અને સોયાબિનના ૮૧,૮૨૦ મે.ટન જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવા કેન્દ્ર સરકાર દ્વારા સમયસર મંજૂરી આપવામાં આવી છે.
જે અંતર્ગત ખરીફ ૨૦૨૨-૨૩માં મગફળીની ટેકાના ભાવે ખરીદીની રૂ.૫૭૨૯ કરોડ, મગ પાકની રૂ.૭૬ કરોડ, અડદ પાકની રૂ.૧૫૮ કરોડ અને સોયાબીન પાકની રૂ.૩૫૨ કરોડ મૂલ્ય મળી અંદાજિત કુલ રૂ.૬૩૧૫ કરોડની ખેડૂતો પાસેથી સીધી ટેકાના ભાવે ખરીદી માટેનું આયોજન હાથ ધરાયુ છે. જેનો રાજ્યના અંદાજિત ૩.૫૦ લાખ ખેડૂતોને લાભ મળશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેડૂતોના હિતને ધ્યાને રાખી ખરીફ ઋતુમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકનું ટેકાના ભાવે રાજ્યમાં વિવિધ ૧૬૦ ખરીદ કેન્દ્રો પરથી ખરીદી કરવાનું સઘન આયોજન કરાયું છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે સેન્ટ્રલ નોડલ એજન્સીને મદદરૂપ થવા રાજ્ય નોડલ એજન્સી તરીકે ગુજકોમાસોલની નિમણૂંક કરવામાં આવી છે. નોંધણી થયેલ ખેડૂતોને ક્રમાનુસાર SMS દ્વારા અથવા ટેલીફોનીક જાણ કરવામાં આવશે. જાણ કરાયેલા ખેડૂતોએ નિયત ખરીદ કેન્દ્ર ખાતે પોતાની જણસના ટેકાના ભાવે વેચાણ માટે હાજર રહેવાનું રહેશે. વેચાણ કરેલ જણસનું ખેડૂતોને ચૂકવણું સીધુ તેમના ખાતામાં જમા કરવામાં આવશે.