નોટબંધી પછી 156 અધિકારીઓને આ આરોપ સાથે કરાયા સસ્પેન્ડ
નાણાં પ્રધાન અરુણ જેટલીએ લોકસભામાં જણાવ્યું કે નોટબંધી પછી સરકારી બેંકોના 156 અધિકારીઓને આ કારણોના લીધે કરાયા સસ્પેન્ડ.
નોટબંધી બાદ અત્યાર સુધીમાં 156 બેંકોના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી બેજવાબદારી અને કાળા નાણાંને સફેદ કરવાના આરોપો હેઠળ કરવામાં આવી છે. સાથે જ લગભગ 41 જેટલા અધિકારીઓનું આવી જ અનિયમિતતાના કારણે ટ્રાંસફર કરવામાં આવ્યું છે. નોટબંધી પછી અલગ અલગ બેંકોમાં અનેક તેવા કિસ્સાઓ બહાર આવ્યા હતા જેમાં બેંક અધિકારીઓએ જ નોટોની અદલા બદલી કરવામાં કાળા નાણાંના કુબેરોનું મદદ કરી હોય.

નાણાં પ્રધાન અરુણ જેટલીએ લોકસભામાં જણાવ્યું કે નોટબંધી પછી અનેક બેંકોના અધિકારીઓની અનિયમિતતા જોવા મળી છે. શરૂઆતી તપાસમાં આ અધિકારીઓની છેતરપીંડી કરતા જોવા મળ્યા જે બાદ આ તમામ 156 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં પોલીસ અને સીબીઆઇએ 26 જેટલા અધિકારીઓ પર અપરાધિક મામલે ફરિયાદ પણ નોંધાવી છે.
આ 156 અધિકારીઓમાંથી 11 અધિકારીઓ ખાનગી બેંકના અધિકારીઓ છે. નોંધનીય છે કે નોટબંધી પછી થયેલી અનિયમિતતાના કારણે આરબીઆઇ પણ તેના સ્ટાફ પર નજર રાખવા અને ઉચ્ચ અધિકારીઓને આવી છેતરપીંડી કરતા અધિકારીઓ સામે કડક પગલાં લેવાના આદેશ આપ્યા હતા. 8 નવેમ્બરના રોજ નરેન્દ્ર મોદીએ કાળા નાણાંને અટકાવવા માટે 500 અને 1000 રૂપિયાની જૂની નોટોને રદ્દ કરીને નવી ચલણી નોટો બહાર પાડી હતી. જે બાદ મોટા પ્રમાણમાં સામાન્ય નાગરિકોને મુશ્કેલીઓ વેઠવાનો સમય આવ્યો હતો. પણ આ તમામની વચ્ચે અનેક પૈસાદાર લોકોએ બેંકના અધિકારીઓને જ પૈસાના જોરે ફોડીને પોતાના કાળા નાણાં સફેદ કરાવી દીધા હતા.












Click it and Unblock the Notifications
