યુપીમાં ભાજપને વધુ એક ફટકો, સ્વામી પ્રસાદ બાદ વધુ 3 ધારાસભ્યોએ BJP માંથી રાજીનામું આપ્યું!
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને એક પછી એક સતત ઝાટકાનો સામનો કરવો પડી રહ્યો છે.
લખનૌ, 11 જાન્યુઆરી : ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને એક પછી એક સતત ઝાટકાનો સામનો કરવો પડી રહ્યો છે. સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામા અને સપામાં જોડાયા બાદ હવે બાંદા જિલ્લાની તિંદવારી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય બ્રજેશ પ્રજાપતિએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. સ્વામી પ્રસાદ મૌર્યના સમર્થનમાં તેમણે ભાજપ છોડ્યું હોવાના અહેવાલ છે. ધારાસભ્ય રોશનલાલ વર્માએ પણ ભાજપને અલવિદા કહી દીધું છે. હવે આ બંને ધારાસભ્યો સમાજવાદી પાર્ટીમાં જોડાય તેવી અટકળો લગાવવામાં આવી રહી છે. કાનપુરના બિલ્હૌરથી ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા ભગવતી સાગરે પણ પાર્ટી છોડી દીધી છે.
સ્વામી પ્રસાદ મૌર્યએ એક ટ્વિટમાં લખ્યું કે, દલિતો, પછાત, ખેડૂતો, બેરોજગાર યુવાનો અને નાના-નાના અને મધ્યમ વર્ગના વેપારીઓના ઘોર ઉપેક્ષિત વલણને કારણે હું ઉત્તર પ્રદેશની યોગી કેબિનેટમાંથી રાજીનામું આપું છું. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ટ્વીટમાં લખ્યું કે, લોકપ્રિય નેતા શ્રી સ્વામી પ્રસાદ મૌર્જી અને તેની સાથે આવેલા અન્ય તમામ નેતાઓ, કાર્યકરો અને સમર્થકોનું સ્વાગત છે, સામાજિક ન્યાય અને સમાનતા માટે લડનાર SPને હાર્દિક સ્વાગત અને શુભેચ્છાઓ!
ઉલ્લેખનિય છે કે, ઉત્તરપ્રદેશમાં આવતા મહિને વિધાનસભા ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં આ વખતે ભાજપને કપરા ચડાણ છે. સમાજવાદી પાર્ટી યુપીમાં વાપસી કરતી જોવા મળી રહી છે ત્યારે ભાજપને આ તમામ ધારાસભ્યોના રાજીનામાં મોંઘા પડી શકે છે.