ડોંડિયા ખેડા : શોભન સરકાર, ઓમ બાબા સામે કેસ નોંધાયો
નવી દિલ્હી, 24 ઓક્ટોબર : ઉત્તર પ્રદેશના ઉન્નાવના ડોંડિયા ખેડા ગામમાં સોનાનો ખજાનો હોવાનો દાવો કરનારા સંત શોભન સરકાર અને તેમના શિષ્ય ઓમ બાબાની મુશ્કેલીઓ હવે વધી રહી હોય તેમ લાગી રહ્યું છે. આ અંગે જેડીયુના મહાસચિવ જાવેદ રઝાએ પણ તુગલક રોડ પોલીસ સ્ટેશનમાં સેનાનનું સપનું દેખાડનારા સંત શોભન સરકાર, તેમના શિષ્ય ઓમ બાબા અને કેન્દ્રીય મંત્રી ચરણદાસ મહંત સામે ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં ત્રણે સામે અંધવિશ્વાસ ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ પગલે દિલ્હી પોલીસ તેમના નિવેદનની તપાસ કરશે. આ ફરિયાદ બુધવાર, 23 ઓક્ટોબર, 2013ના રોજ નોંધાવવામાં આવી છે. તેમની સામે ગુનો નોંધવાની માંગ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ઉન્નાવમાં કેન્દ્રીય મંત્રી ચરણદાસની ભલામણને પગલે જ સોના માટે ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. તેમની સામે સરકારી હોદ્દાના દુરુપયોગની ફરિયાદ કરવામાં આવી છે. જેડીયુના મહાસચિવ જાવેદ રઝાએ પોતાની ફરિયાદમાં નોંધાવ્યું છે કે ચરણદાસ મહંતે એક સાધુના સપનાને આધારે એએસઆઇને ડોંડિયા ખેડાના મહેલમાં ખોદકામ કરવા માટે પોતાની સરકારી તાકાતનો ઉપયોગ કર્યો હતો.