કોરોનાના નવા વેરિઅંટથી એક વાર ફરીથી વધી ચિંતા, પૂણેમાં મળ્યો ઓમિક્રૉન સબવેરિઅંટ BQ.1નો પહેલો કેસ
પડોશી દેશ ચીનમાંથી મળેલા કોરોના વાયરસના નવા વેરિઅંટે ભારત જ નહિ પરંતુ સમગ્ર દુનિયાની ચિંતા વધારી દીધી છે.
ભારતમાં કોરોના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશના લગભગ બધા રાજ્યોમાં પૉઝિટિવિટી રેટમાં પણ ઘણો ઘટાડો થયો છે. પરંતુ આ બધા વચ્ચે પડોશી દેશ ચીનમાંથી મળેલા કોરોના વાયરસના નવા વેરિઅંટે ભારત જ નહિ પરંતુ સમગ્ર દુનિયાની ચિંતા વધારી દીધી છે. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે સોમવારે કહ્યુ કે પૂણે નિવાસી એક વ્યક્તિમાં ઓમિક્રૉન કોવિડ-19 સબવેરિઅંટ BQ.1નુ સંક્રમણ મળ્યુ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ રીતના સંક્રમણનો ભારતમાં આ પહેલો કેસ છે.
ચીનમાં આ સંકટ ફરી ફેલાઈ રહ્યુ છે. ચીનની સરકારે ઘણા શહેરોમાં લોકડાઉન લગાવવુ પડ્યુ છે. ત્યાં ઓમિક્રોન વેરિઅન્ટ BF.7 અને BA.5.1.7ના કેસ આવી રહ્યા છે. રાજ્ય સર્વિલન્સ ઑફિસર પ્રદીપ આવટેના જણાવ્યા મુજબ આ મામલે નિરીક્ષણ રાખવામાં આવી રહ્યુ છે અને ઉચ્ચ જોખમ ધરાવતા દર્દીઓને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યુ કે BQ.1 અને BQ.1.1 Omicron એ BA.5 સબવેરિયન્ટમાંથી આવ્યા છે. આ બંને વેરિયન્ટ્સને ખતરનાક વર્ણવવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે અમેરિકામાં જે લોકો સંક્રમિત છે તેમાંથી 10 ટકા લોકો આ વાયરસથી સંક્રમિત છે.
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણની વાત કરીએ તો 16 ઓક્ટોબર પછીના એક સપ્તાહમાં કોવિડ-19ના કેસમાં 17.7%નો વધારો થયો છે. સોમવારે રાજ્યમાં કોરોનાના 201 નવા કેસ નોંધાયા છે. હાલમાં, રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનો મૃત્યુ દર 1.82% છે. સોમવારે એકલા પુણેમાં 23 નવા કેસ મળી આવ્યા છે. આવટેએ કહ્યુ કે હાલમાં રાજ્યના થાણે, રાયગઢ અને મુંબઈમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.
તેમણે કહ્યુ કે તહેવારોની સિઝનમાં સંક્રમણના કેસ હજુ વધી શકે છે. આવી સ્થિતિમાં ઉચ્ચ જોખમવાળા દર્દીઓ પર નજર રાખવી પડશે. સાથે જ તેમણે લોકોને શરદી અને ફ્લૂની અવગણના ન કરવા અને તાત્કાલિક તબીબી સલાહ લેવા અપીલ કરી હતી. આ ઉપરાંત જો તમને શરદી અને ઉધરસના લક્ષણો દેખાય તો જાહેર સ્થળોએ ન જશો. આ ઉપરાંત તેમણે લોકોને સરકાર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ રસી અપાવવા અપીલ કરી હતી. તેમણે વૃદ્ધ લોકોને થોડા દિવસો માટે ભીડવાળી જગ્યાઓ પર ન જવાની અપીલ કરી. આ ઉપરાંત તેમણે શરદી-ખાંસીથી પીડાતા લોકોને સાવચેતી રાખવા અને બીજા લોકોથી અંતર રાખવા અપીલ કરી હતી.