અફઝલ-કસાબ ગયા, બીજા 400 દોષિતોનો નંબર ક્યારે આવશે?
ગંભીર ગુનામાં દોષિત ઠરેલા કેટલા ગુનેગારો ફાંસી આપવાની લાઇનમાં છે તે અંગેનો ચોક્કસ આંકડો પ્રાપ્ત થઇ શકતો નથી. એક અંદાજ મુજબ ભારતમાં 400 ગુનેગારોને ફાંસી આપવાની સજા ફરમાવવામાં આવી છે પણ તેમને હજી ફાંસીના માંચડે ચઢાવવામાં આવ્યા નથી.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)ના વર્ષ 2010ના આંકડા દર્શાવે છે કે ભારતમાં 402 ગુનેગારોને ફાંસી આપવાની બાકી છે.
ફાંસીની સજા આપવામાં આવી હોય તેની રાજ્ય વાર સ્થિતિ જોઇએ તો 131 ગુનેગારો સાથે ઉત્તર પ્રદેશ દેશમાં ટોચ પર છે. આ પ્રમાણ ફાંસીની સજા ફરમાવવામાં આવી હોય તેના 32.6 ટકા થાય છે.
આ ક્રમમાં કર્ણાટક 60 દોષિતો સાથે બીજા ક્રમે, મહારાષ્ટ્ર 49 દોષિતો સાથે ત્રીજા ક્રમે આવે છે. ત્યાર બાદના ક્રમે 31 દોષિતો સાથે બિહાર ચોથા ક્રમે, 20 દોષિતો સાથે પશ્ચિમ બંગાળ પાંચમા ક્રમે, 18 દોષિતો સાથે દિલ્હી છઠ્ઠા ક્રમે, 16 દોષિતો સાથે તમિળનાડુ સાતમા ક્રમે, 14 દોષિતો સાથે કેરળ આઠમા ક્રમે અને 12 દોષિતો સાથે ઝારખંડ નવમા ક્રમે છે.
જેમને ફાંસીની સજા ફરમાવવામાં આવી છે તેવા મોટા ગુનેગારોમાં મુંબઇના 1993ના બોમ્બ વિસ્ફોટનો દોષિત ટાઇગર મેમણનો ભાઇ યાકુબ મેમણ, સંસદ પરના હુમલામાં દોષિત અફઝલ ગુરુ વગેરેનો સમાવેશ થાય છે.