મલ્લિકાર્જૂન ખડગે પણ કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં થશે સામેલ, ભરી શકે છે આજે નામાંકન
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગે કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં સામેલ થશે તેમ સૂત્રોએ જણાવ્યુ હતુ.
નવી દિલ્લીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગે કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં સામેલ થશે તેમ સૂત્રોએ જણાવ્યુ હતુ. તમને જણાવી દઈએ કે મલ્લિકાર્જૂન ખડગે સાથે મુકુલ વાસનિક, મીરા કુમાર અને કુમારી શૈલજા પણ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે પોતાનુ નામાંકન દાખલ કરી શકે છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે નામાંકન આજે બપોરે 3 વાગ્યા સુધી ભરી શકાશે અને તેનુ પરિણામ 19 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ મલ્લિકાર્જુન ખડગે પણ હવે કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં સામેલ થઈ ગયા છે. જો કે સોનિયા ગાંધી આ અંગેનો અંતિમ નિર્ણય લેશે. ખડગે આજે સોનિયા ગાંધીને મળશે. તમામની નજર આ બેઠક પર છે. તમને જણાવી દઈએ કે મલ્લિકાર્જૂન ખડગે 8 વખત ધારાસભ્ય, બે વખત લોકસભા સાંસદ અને એક વખત રાજ્યસભાના સાંસદ બની ચૂક્યા છે. 2019માં તેઓ લોકસભાની ચૂંટણી હારી ગયા હતા. તેઓ કર્ણાટકના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ એક દલિત નેતા છે.
આ ઉપરાંત મીરા કુમાર, મુકુલ વાસનિક(જી-23) અને કુમારી શૈલજાના નામની પણ ચર્ચા છે. ગુરુવારે મોડી રાતે જી-23 જૂથના નેતાઓની બેઠક આનંદ શર્માના નિવાસસ્થાને થઈ. જેમાં મનીષ તિવારી, પૃથ્વીરાજ ચૌહાણ, ભૂપેન્દ્ર હુડ્ડા સહિત ઘણા નેતા સામેલ હતા. સૂત્રોના જણાવ્યા મુજબ જી-23 જૂથ પણ અધ્યક્ષ પદની ચૂંટણીમાં ઉમેદવાર ઉતારી શકે છે. આજે પણ જી-23 જૂથની બેઠક બોલાવી હતી.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે આજે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી, રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહ અને કેરળના સાંસદ શશિ થરુર પોતાનુ નામાંકન દાખલ કરશે. જી-23 જૂથના અલગથી ઉમેદવારની ચર્ચાએ પણ જોર પકડ્યુ છે. વળી, નામાંકન વાપસીની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે. આ દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુરુવારે અધ્યક્ષ પદની રેસમાં બહાર નીકળી ગયા હતા. રાજકીય ઉથલપાથલ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ ગેહલોતે ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો હતો.