'પિતા રાષ્ટ્રવાદ શીખવાડી રહ્યા છે અને દીકરાએ ભારત દ્વારા પાકિસ્તાનને હરાવ્યા પછી તિરંગો અડવાની ના પાડી દીધી'
અમિત શાહના પુત્ર જય શાહ કે જેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ છે, તેમની પણ અભિષેક બેનર્જીએ ટીકા કરી છે.
નવી દિલ્લીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ શુક્રવારે ટીએમસીના જનરલ સેક્રેટરી અને સીએમ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીની કોલસાની દાણચોરીના કેસમાં લગભગ આઠ કલાક સુધી પૂછપરછ કરી હતી. ઈડી દ્વારા પૂછપરછ કર્યા પછી ડાયમંડ હાર્બર સાંસદે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા. અભિષેક બેનર્જીએ કેન્દ્રીય મંત્રી અમિત શાહને પડકાર ફેંકતા કહ્યુ કે જો તેમનામાં હિંમત હોય તો તેઓ સાબિત કરે કે હું દોષિત છુ. અમિત શાહના પુત્ર જય શાહ કે જેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ છે, તેમની પણ અભિષેક બેનર્જીએ ટીકા કરી છે.
'પિતા રાષ્ટ્રવાદને શીખવવામાં લાગ્યા છે અને દીકરો...'
અભિષેક બેનર્જીએ કહ્યુ, 'પિતા(અમિત શાહ) દેશને રાષ્ટ્રવાદ શીખવવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ તેમના પુત્ર(જય શાહ)એ તાજેતરમાં જ ભારતે પાકિસ્તાનને હરાવ્યા બાદ રાષ્ટ્રધ્વજને સ્પર્શ કરવાનો ઇનકાર કર્યો હતો. અભિષેક બેનર્જીએ કહ્યુ હતુ કે રાજકીય લડાઈ લડ્યા વિના બિન-ભાજપ શાસિત રાજ્યોમાં સરકારોને હટાવવા માટે ભારતીય જનતા પાર્ટી(BJP)નો વિરોધ કરતા પક્ષો વિરુદ્ધ ફેડરલ એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ તમે બિહાર અને ઝારખંડ અને મહારાષ્ટ્રમાં જોયુ હશે.
સુવેન્દુ અધિકારી વિશે આપ્યુ મોટુ નિવેદન
અભિષેક બેનર્જીએ આક્ષેપ કર્યો હતો કે લગભગ આઠ મહિના પહેલા બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ કોલસા કૌભાંડના મુખ્ય આરોપીઓમાંના એક તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ યુવા નેતા અને ઉદ્યોગપતિ વિનય મિશ્રા સાથે ફોન પર વાતચીત કરી હતી. બેનર્જીએ કહ્યુ, 'એક પત્રકાર પાસે સુવેન્દુ અધિકારી અને બિઝનેસમેન વિનય મિશ્રા વચ્ચેની વાતચીતનો ઓડિયો છે અને મેં તે સાંભળ્યો છે. સુવેન્દુ અધિકારીએ આરોપીને ખાતરી આપી હતી કે તેની સાથે કંઈ નહિ થાય. આમ કહેવા બદલ અધિકારીઓએ મારી સામે માનહાનિનો દાવો દાખલ કરવો જોઈએ. હું કોર્ટ સમક્ષ ઓડિયો ટેપ રજૂ કરીશ.'
'બેંગકોકના કયા બેંક ખાતામાં કોલસા કૌભાંડથી જમા કરેલા પૈસા છે'
તેમણે એમ પણ પૂછ્યુ કે શારદા અને નારદ બંને કેસમાં શંકાસ્પદ હોવા છતાં સુવેન્દુ અધિકારીની પૂછપરછ કેમ કરવામાં આવી નથી. જો કે, સુવેન્દુ અધિકારીએ કહ્યુ કે બેનર્જીએ તેમને વિનય મિશ્રાને ફોન કરવાનો ખોટો દાવો કર્યો છે. સુવેન્દુ અધિકારીએ કહ્યુ, 'સૌપ્રથમ એ જણાવો કે બેંગકોકમાં કયા બેંક ખાતામાં કોલસાની દાણચોરીના નાણાં છે અને ખાતાધારક કોણ છે.'
'એજન્સીઓએ મારી અને પત્નીની 6 વાર પૂછપરછ કેમ કરી...'
અભિષેક બેનર્જીએ કહ્યુ, 'એજન્સીઓએ મને અને મારી પત્ની(રુજીરા બેનર્જી)ની છ વખત પૂછપરછ કેમ કરી? જો કે, જે સરહદો પર પશુઓની દાણચોરી થઈ છે ત્યાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને કોલસાની ખાણોની સુરક્ષા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ દ્વારા કરવામાં આવે છે. બંને કેન્દ્રીય ગૃહ પ્રધાન હેઠળ છે. તેમણે દાણચોરીમાંથી કમાણી કરી હતી. આ ઑપરેશન બીએસએફ અને સીઆઈએસએફની સક્રિય ભાગીદારી વિના થઈ શકે નહિ.'
'રાજનાથ સિંહની હજુ સુધી પૂછપરછ કેમ કરવામાં આવી નથી'
અભિષેક બેનર્જીએ કહ્યુ, 'રાજનાથ સિંહ 2018 સુધી ગૃહમંત્રી હતા. તેમની હજુ સુધી પૂછપરછ કેમ કરવામાં આવી નથી?' ઈડી અધિકારીઓએ કહ્યુ કે બેનર્જીએ મોટાભાગના પ્રશ્નોના જવાબ આપ્યા નથી જ્યારે અભિષેક બેનર્જીએ કહ્યુ, 'મેં એજન્સીને સહકાર આપ્યો પરંતુ આ પૂછપરછનુ ચોખ્ખું પરિણામ શૂન્ય છે.' બેનર્જીએ કહ્યુ, 'નિસિથ પ્રમાણિક(કૂચ બિહારના લોકસભા સભ્ય) પર ગાય ચોરીનો આરોપ હતો. અમે તેમને હાંકી કાઢ્યા અને ભાજપે તેમને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી બનાવ્યા. કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર પર ઉત્તર પ્રદેશમાં પાંચ ખેડૂતોની હત્યાનો આરોપ છે. આ રીતે ભાજપ દેશ ચલાવે છે.
'હું જોઈશ કે આ ક્યાં ખતમ થાય છે, ઈચ્છો તો ધરપકડ કરી લો'
અભિષેક બેનર્જીએ વધુમાં કહ્યુ, 'હું જોઈશ કે આ ક્યાં ખતમ થાય છે. જો તમે ઈચ્છો તો મારી ધરપકડ કરી લો. ટીએમસી એક મજબૂત પાર્ટી તરીકે ઉભરી આવશે. તમને લાગે છે કે અન્ય પક્ષો જોખમના સમયે તમારી સામે ઝૂકી જશે. ટીએમસી એક અલગ ધાતુમાંથી બનેલી છે. અમે ભાજપ, ભારતીય ચૂંટણી પંચ, સંઘીય એજન્સીઓ અને ન્યાયતંત્ર અને મીડિયાના એક વર્ગ સામે લડી રહ્યા છે.હું આ કહેતા દિલગીર છુ પરંતુ જો ન્યાયતંત્ર સંપૂર્ણપણે તટસ્થ હોત તો આમાંના ઘણા તત્વો (ભાજપમાં) આજે ક્યાંય ન હોત. આમ કહેવા બદલ મારા પર કોર્ટની અવમાનનાનો આરોપ લાગી શકે છે. રહેવા દો.'