મોદીએ કહ્યું ભારતમાં રોકાણ કરવું છે શાણપણ, પરમાણુ કરાર પર કર્યા હસ્તાક્ષર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રિદિવસીય બ્રિટન પ્રવાસ અંતર્ગત લંડનમાં છે. ત્યારે આ અધિકૃત પ્રવાસના બીજા દિવસે તે બ્રિટનના જાણીતા બિઝનેસમેન અને કંપનીના સીઇઓ સાથે ખાસ મુલાકાત કરશે. અને તેમને ભારતમાં રોકાણ કરવા પર ભાર મૂકશે.
નોંધનીય છે કે લંડન પહોંચીને તેમણે બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરૂન સાથે મુલાકાત કરી હતી. અને બ્રિટનની સંસદને સંબોધિત કરી હતી. અહીં તેમણે ભારતને ગાંધી અને ગૌતમ બુદ્ધનો દેશ જણાવીને કહ્યું કે ભારત એક અસહિષ્ણુ દેશ નથી. અને તે તમામ ધર્મોને બરાબર સન્માન આપવા માંગે છે. અને જે લોકો દેશની આ શાંતિ અને અખંડિતતાને ભંગ કરશે તેની સામે કાયદો અને કાનૂન વ્યવસ્થા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
જે બાદ નરેન્દ્ર મોદી અને ડેવિડ કેમરૂને એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં તેમણે બન્ને દેશો વચ્ચે થયેલા અસૈન્ય પરમાણુ કરાર પર થયેલા હસ્તાક્ષર વિષે જણાવ્યું હતું. વળી બ્રિટન ભારતમાં સ્માર્ટ સિટી બનાવા માટે પણ મદદ કરશે. સાથે જ બન્ને દેશોના લશ્કરના સાથે મળીને નિયમિત રૂપે અભ્યાસ અને રક્ષા વેપાર કરશે તેવું પણ તેમણે જણાવ્યું હતું.
વધુમાં બન્ને દેશો વચ્ચે 9 અરબ પાઉન્ડના કરાર પણ થયા છે. જેમાં રક્ષા અને સાઇબર સુરક્ષા જેવા કરાર પર પણ બન્ને દેશોએ હસ્તાક્ષર કર્યા છે. વળી લંડનમાં રેલ્વે બોન્ડની પણ શરૂઆત કરવામાં આવી છે.
નોંધનીય છે કે ગુરુવારે લંડન પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અહીં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બ્રિટનની જાણીતી જગ્યાઓ જેમ કે લંડન બ્રિઝને ત્રિરંગોથી સજાવામાં આવ્યા હતા. આજે મોદી ડેવિડ કેમરુન સાથે બ્રેકફાસ્ટ કરીને ભારતીય સમય મુજબ બપોરે 3 વાગે બ્રિટનની જાણીતી કંપનીઓના સીઇઓને મળશે.