આસારામના સુરત આશ્રમને જમીન અતિક્રમણ માટે કરોડોનો દંડ
સુરત, 3 સપ્ટેમ્બર : સગીરાની જાતીય સતામણીના કેસમાં 14 દિવસની કસ્ટડીમાં જોધપુર જેલમાં મોકલાયેલા આસારામની મુશ્કેલીઓ વધી રહી છે. પ્રથમ વાર ગુજરાત સરકારે આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં રાજ્યમાં ગેરકાયદેસર ચાલતા આશ્રમો પર કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. આ આદેશના અમલના ભાગ રૂપે સુરતના જિલ્લા કલેક્ટરે સુરત સ્થિત આસારામ આશ્રમ પર રૂપિયા 18.57 કરોડનો દંડ ફટાકાર્યો છે.
ગુજરાત સરકારે આપેલા આ આદેશોમાં ગેરકાયદેસર ચલાવાતા અથવા ગેરકાયદેસર જમીન અધિગ્રહણ કરી ચલાવાતા આશ્રમોની ફાઇલો ખોલવા અને તેના પર પગલાં લેવાનું કહેવાયું છે. ઉલ્લેખનીય છે કે આસારામે સુરતના જહાંગીરપુરામાં ગેરકાયદેસર જમીન અધિગ્રહણ કરી 34,400 ચોરસ મીટરની જગ્યામાં આશ્રમ ઉભો કર્યો છે. જેને પગલે સુરતના જિલ્લા કલેક્ટરે આશ્રમને 18 કરોડ 57 લાખનો દંડ ફટકાર્યો છે.
આસારામે 1996થી 2010 સુધીમાં રાજ્ય સરકારને આ જમીનનું ભાડું ન ચૂકવ્યું હોવાથી આ નોટીસ ફટકારાઇ હોવાનું કહેવાઈ રહ્યું છે. ત્યારે અચાનક જ રાજ્યસરાકાર શા માટે જાગી હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે.
અગાઉ અમદાવાદ, સાંબરકાંઠા, પેઢામલી, નવસારીમાં જમીન હડપવાના મુદ્દે આસારામના આશ્રમો પર બુલડોઝર ફેરવવામાં આવ્યા હતા. અત્યાર સુધી મૌન રહેલી રાજ્ય સરકારે ગુજરાતમાં રહેલા આસારામના અન્ય 40 જેટલા આશ્રમોની માહિતી માંગી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હોય તેવું જણાઈ રહ્યું છે.